ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના એક ગામમાં ખાનગી ટ્યુશન ક્લાસમાં ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને કલંકિત કરતી ગંભીર ઘટના સામે આવી છે. ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષક દ્વારા નાબાલિક વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ગુરુ-શિષ્યનો સંબંધ લાજવાયો!
મળતી માહિતી મુજબ, આરોપી શિક્ષક દ્વારા પીડિતાને એક્સ્ટ્રા ક્લાસના બહાને દર રવિવારે બોલાવવામાં આવતી હતી અને આ દરમિયાન તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપીનું નામ 63 વર્ષીય ધનંજયસિંહ રામઅવતાર સિંહ હોવાનું જાણવા મળ્યું છે, જે છેલ્લા ચાર વર્ષથી ગામમાં ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતો હતો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પીડિતાની તબિયત અંગે તપાસ કરાતા તે 13 વર્ષ એક મહિનાની નાબાલિક હોવાનું તેમજ તેને દોઢ માસનું ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો. આ ચોંકાવનારી હકીકત સામે આવતાં પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપીની ધરપકડ
ફરિયાદના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ધનંજયસિંહ રામઅવતાર સિંહને ઝડપી લઈ જેલ ભેગો કર્યો છે. પોલીસે આ કેસમાં પોક્સો એક્ટ, દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, કેસની તમામ પાસાઓથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.




















