મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના વિરાર પૂર્વ વિસ્તારમાં મંગળવારે (26 ઓગસ્ટ) મોડી રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી. રમાબાઈ એપાર્ટમેન્ટ નામની ચાર માળની ઇમારતનો એક ભાગ અચાનક ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 20 થી 25 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શું હતી ઘટના?
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે ઇમારતનો એક મોટો ભાગ તૂટી પડ્યો. એ સમયે ચોથા માળે એક વર્ષની બાળકીનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો હતો. અચાનક ધરાશાયી થયા બાદ લોકો કાટમાળ નીચે દબાયા.
ઘટના બાદ તરત જ પોલીસ, ફાયર બ્રિગેડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અત્યાર સુધીમાં પાંચ લોકોને બચાવી તેમને સારવાર માટે VVCMC હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બિલ્ડિંગમાં કુલ 12 પરિવારો રહેતા હતા.
વરસાદ અને જુના બાંધકામથી તિરાડ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, બિલ્ડિંગ બહુ જૂનું હતું અને સતત વરસતા વરસાદને કારણે દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી. આ જ કારણસર ઇમારતનો એક ભાગ ધરાશાયી થયો હોવાનું મનાઈ રહ્યું છે. સુરક્ષાના ભાગરૂપે બિલ્ડિંગની બીજી વિંગ પણ ખાલી કરાવવામાં આવી છે અને સમગ્ર સ્થળ સીલ કરી દેવામાં આવ્યું છે.
હાલ બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે કાટમાળ નીચે હજુ પણ 20 થી વધુ લોકો ફસાયેલા હોઈ શકે છે.





