Toshakhana Auction: વિદેશ મંત્રાલયે તોશાખાનામાં સુરક્ષિત રાખવામાં આવેલી, વિદેશી મહાનુભાવો દ્વારા ભારત સરકારના અધિકારીઓ અને પ્રતિનિધિઓને ભેટમાં આપેલી અંદાજે 300 ભેટસોગાદોની ઈ-હરાજી (E-Auction) શરૂ કરી છે. આપને જણાવી દઈએ કે આ હરાજીમાં લક્ઝરી ઘડિયાળો, ઘરેણાં, સ્મૃતિ ચિહ્નો, સુશોભનની વસ્તુઓ અને અન્ય દુર્લભ ભેટોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઈ-હરાજી 8 જૂનથી શરૂ થઈ છે અને 30 જૂન સુધી ચાલશે. તોશાખાના એ સત્તાવાર સરકારી ભંડાર છે, જ્યાં વિદેશ પ્રવાસો દરમિયાન અથવા ભારતમાં વિદેશી પ્રતિનિધિઓ તરફથી સરકારી અધિકારીઓને મળેલી ભેટો સુરક્ષિત રાખવામાં આવે છે. સુધારેલા 'તોશાખાના નિયમો, 2024' હેઠળ પહેલીવાર આ ભેટોની જાહેર ઈ-હરાજીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમાં માત્ર ભારતના રહેવાસી નાગરિકો જ નોંધણી કરાવીને બોલી લગાવી શકે છે અને ખરીદેલી વસ્તુઓની ડિલિવરી પણ દેશની અંદર જ કરવામાં આવશે.
હરાજીમાં રોલેક્સની 'યૉટ માસ્ટર-2' ઘડિયાળ
આ હરાજીમાં સૌથી આકર્ષક વસ્તુઓમાં લક્ઝરી બ્રાન્ડ રોલેક્સની 'યૉટ માસ્ટર-2' (Yacht-Master II) ઘડિયાળ સામેલ છે, જેની પ્રારંભિક બોલી (બેઝ પ્રાઇસ) 16.52 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ ઉપરાંત કાર્ટિયર (Cartier) બ્રાન્ડની પ્રતિષ્ઠિત 'સેન્ટોસ ડ્યૂમોન્ટ' સીરીઝની ઘડિયાળ પણ હરાજીનો હિસ્સો છે, જેની મૂળ કિંમત 5.02 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. પોર્ટલ પર આ ઘડિયાળને આધુનિક ટેકનોલોજી અને સદાબહાર ડિઝાઈનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવવામાં આવ્યું છે. સ્ટેનલેસ સ્ટીલમાંથી બનેલી આ ઘડિયાળ પ્રખ્યાત વિમાનચાલક અલ્બેર્ટો સેન્ટોસ ડ્યૂમોન્ટના વારસાથી પ્રેરિત માનવામાં આવે છે.
'અલ અરબાશ' બ્રાન્ડનો શાનદાર જ્વેલરી સેટ પણ સામેલ
હરાજીમાં કુવૈતના પ્રખ્યાત 'અલ અરબાશ' બ્રાન્ડનો એક શાનદાર જ્વેલરી સેટ પણ સામેલ છે. આશરે 9.52 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમત ધરાવતા આ સેટમાં નેકલેસ, બ્રેસલેટ અને ઈયરિંગ્સ (બુટ્ટી) સામેલ છે. આ બ્રાન્ડ તેની પરંપરાગત કારીગરી અને કૌટુંબિક વારસા માટે જાણીતી છે.
પ્રાચીન ચાંદીના સિગારેટ બોક્સની કિંમત 12,030 રૂપિયા
આ સિવાય એક એન્ટિક (પ્રાચીન) ચાંદીનું સિગારેટ બોક્સ પણ બોલી માટે ઉપલબ્ધ છે, જેની શરૂઆતની કિંમત 12,030 રૂપિયા રાખવામાં આવી છે. આ દુર્લભ વસ્તુના ઢાંકણ પર હાથથી કંડારેલી કલાત્મક આકૃતિઓ છે, જ્યારે તેનો અંદરનો ભાગ હજી પણ ચમકતી ચાંદીની ગુણવત્તા દર્શાવે છે. તેને ઉત્કૃષ્ટ ધાતુ શિલ્પકળાનો નમૂનો ગણાવવામાં આવ્યો છે.
ઈ-હરાજી પોર્ટલ પર દરેક વસ્તુની સાથે તેની ટૂંકી વિગત અને પૃષ્ઠભૂમિ (બેકગ્રાઉન્ડ) પણ આપવામાં આવી છે, જેથી જે પણ વ્યક્તિ તેને ખરીદવા ઈચ્છે તે તેની વિશેષતાઓ અને મહત્વને સમજી શકે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હરાજીમાં સામેલ મોટાભાગની વસ્તુઓ વારસો, સ્મૃતિ, સુશોભન કે સંગ્રહ કરવાના મહત્વની છે, અને જરૂરી નથી કે તેનો વ્યાવસાયિક કે રોજિંદો ઉપયોગ થઈ શકે.
તોશાખાના શું હોય છે?
‘તોશાખાના’ શબ્દ ફારસી ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ ‘ખજાનો’ અથવા ‘ભેટસોગાદોનો ભંડાર’ થાય છે. મુઘલ કાળમાં આ શબ્દનો ઉપયોગ એવા સ્થળો માટે થતો હતો જ્યાં શાસકો અને રાજવી પરિવારોને મળેલી ભેટો અને સન્માનરૂપે મળેલી વસ્તુઓ સુરક્ષિત રાખવામાં આવતી હતી. બાદમાં બ્રિટિશ શાસન દરમિયાન પણ વિદેશી શાસકો કે રિયાસતો તરફથી મળેલી ભેટો સરકારી ખજાનામાં જમા કરવામાં આવતી હતી. આ જ પરંપરાઓના આધારે આધુનિક ભારતમાં પણ તોશાખાના વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે.
ભારતમાં વડાપ્રધાન, મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વિદેશ પ્રવાસે જનારા સરકારી પ્રતિનિધિમંડળના સભ્યોને વિદેશમાંથી મળેલી ભેટો તોશાખાનામાં જમા કરાવવાની હોય છે. સરકારી નિયમો અનુસાર, કોઈપણ અધિકારી કે લોકપ્રતિનિધિને સત્તાવાર પ્રવાસ દરમિયાન મળેલી ભેટને ભારત પરત ફર્યાના 30 દિવસની અંદર તોશાખાનામાં જમા કરાવવી ફરજિયાત છે.
કોણ પોતાની પાસે રાખી શકે છે ભેટ?
હાલના નિયમો મુજબ, જો કોઈ ભેટની કિંમત 5,000 રૂપિયા સુધીની હોય, તો સંબંધિત અધિકારી તેને પોતાની પાસે રાખી શકે છે. જો ભેટની કિંમત આનાથી વધુ હોય, તો તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અધિકારી ઈચ્છે તો નક્કી કરેલી રકમ સરકારમાં જમા કરાવીને તે ભેટ ખરીદી શકે છે. જો એવું કરવામાં ન આવે, તો તે વસ્તુ તોશાખાનામાં જમા રહે છે અને બાદમાં હરાજી દ્વારા વેચવામાં આવી શકે છે. આ ઉપરાંત IAS, IPS અને IFS અધિકારીઓને વિદેશી મહાનુભાવો તરફથી મળેલી કેટલીક ભેટો પોતાની પાસે રાખવાની મંજૂરી છે, પરંતુ જો તેની કિંમત 25,000 રૂપિયાથી વધુ હોય તો તેની માહિતી સરકારને આપવી અનિવાર્ય છે.






