ઈતિહાસના પાનાઓમાં 30 Decemberનો દિવસ ભારત માટે અત્યંત મહત્વનો રહ્યો છે. આ એ જ તારીખ છે જ્યારે ભારતીય અવકાશ વિજ્ઞાનના પ્રણેતા અને ISRO જેવી સંસ્થાના પાયાના પથ્થર ડો. વિક્રમ સારાભાઈનું વર્ષ 1971માં અવસાન થયું હતું. કેરળના થિરૂવનંતપુરમ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અંતરીક્ષ સંશોધનમાં ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જનાર આ મહાન વૈજ્ઞાનિકને આજે પણ આખો દેશ નમન કરી રહ્યો છે. આ ઉપરાંત આજના દિવસે ફિલ્મ જગતના માંધાતા મૃણાલ સેન અને કવિ દુષ્યંત કુમારની પણ પુણ્યતિથિ છે.
આઝાદીની લડાઈ અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો કબજો
ભારતીય ઈતિહાસમાં આ દિવસ સત્તાના સંઘર્ષ માટે પણ જાણીતો છે. વર્ષ 1803માં બ્રિટનની East India Company એ દિલ્હી, આગ્રા અને ગુજરાતના ભરૂચ પર પોતાનો કબજો જમાવ્યો હતો. આઝાદી પહેલાના આ ઘટનાક્રમે ભારતના રાજકીય નકશામાં મોટો બદલાવ લાવી દીધો હતો. બીજી તરફ વર્ષ 1943માં આજના દિવસે નેતાજી સુભાષ ચંદ્ર બોઝે પોર્ટ બ્લેર ખાતે પ્રથમવાર ભારતની સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવીને બ્રિટિશ હકુમતને પડકાર ફેંક્યો હતો.
વૈશ્વિક ઈતિહાસની મોટી ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય સ્તરે 30 December ના દિવસે એવી ઘટનાઓ બની જેણે દુનિયાની રાજનીતિ બદલી નાખી. વર્ષ 2006માં આજના દિવસે ઈરાકના પૂર્વ સરમુખત્યાર સદ્દામ હુસૈનને ફાંસી આપવામાં આવી હતી. આ સિવાય વર્ષ 1922માં રશિયાના મોસ્કો ખાતેથી સત્તાવાર રીતે સોવિયેત સંઘની રચના કરવાની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 1906માં આજના દિવસે ઢાકા (હાલ બાંગ્લાદેશ)માં ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી જેની અસર ભારતના ભાગલા વખતે જોવા મળી હતી.
રમતગમત અને અન્ય મહત્વના પ્રસંગો
2008: ભારતના સૂર્યશેખર ગાંગુલીએ 46મી નેશનલ ચેસ ચેમ્પિયનશિપમાં જીત મેળવી.
2003: ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટમાં ભારતને 9 વિકેટે હરાવ્યું હતું.
2001: લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ મોહમ્મદની પાકિસ્તાનમાં ધરપકડ થઈ હતી.
1949: આજના દિવસે ભારતે ચીન સાથે રાજદ્વારી સંબંધોને માન્યતા આપી હતી.
આજના દિવસે જન્મેલી પ્રસિદ્ધ હસ્તીઓ
આજના દિવસે સામાજિક કાર્યકર હનુમપ્પા સુદર્શન (1950), વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિક (1944) અને ભારતના પ્રથમ ચેસ માસ્ટર મેન્યુઅલ એરોન (1935) નો જન્મ થયો હતો. આ સિવાય 20મી સદીના મહાન સંત રમણ મહર્ષિ (1879) અને 'ધ જંગલ બુક' ના લેખક રુડયાર્ડ કિપલિંગ (1865) નો પણ આ જ દિવસે જન્મ થયો હતો.





















