પશ્ચિમ બંગાળની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માં આંતરિક વિખવાદ હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને લોકસભા સાંસદ કલ્યાણ બેનર્જીએ મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી સામે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે. તેમના નિવેદનથી માત્ર રાજકીય વર્તુળોમાં જ નહીં પરંતુ ટીએમસીના આંતરિક સંગઠનમાં પણ ભારે ચર્ચા જગાવી છે.
એક વાયરલ વીડિયોમાં કલ્યાણ બેનર્જી અભિષેક બેનર્જીના વર્તન અંગે ખુલ્લેઆમ આક્રોશ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે અભિષેક બેનર્જીનું ઘમંડી અને એકતરફી વલણ સમગ્ર પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યું છે. તેમના અનુસાર પાર્ટીમાં નિર્ણયો લેતી વખતે અનુભવી અને વરિષ્ઠ નેતાઓની સલાહને અવગણવામાં આવી રહી છે, જે ચિંતાજનક બાબત છે.
'મારું ઘોર અપમાન થયું'
કલ્યાણ બેનર્જીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેમના સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું તે અત્યંત અપમાનજનક છે. તેમણે કહ્યું કે વર્ષોથી તેઓ મમતા બેનર્જી સાથે ખભેખભા મિલાવીને પાર્ટી માટે કામ કરતા આવ્યા છે, પરંતુ હવે સ્થિતિ એવી બની ગઈ છે કે પાર્ટીમાં કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે.
તેમણે આરોપ લગાવ્યો કે અભિષેક બેનર્જી દરેક બાબતમાં પોતાને સર્વોપરી માને છે અને અન્ય નેતાઓના અનુભવ તથા સૂચનોને મહત્વ આપતા નથી. કલ્યાણ બેનર્જીના મતે, આ પ્રકારનું વલણ કોઈપણ રાજકીય સંગઠન માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
તેમણે કહ્યું કે, દરરોજ તેમને એવું લાગે છે કે તેઓ રાજા છે. તેમના આ ઘમંડી સ્વભાવને કારણે આખી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. મુશ્કેલ સમયમાં પણ હું પાર્ટી અને મમતા બેનર્જી સાથે ઉભો રહ્યો છું, પરંતુ હવે કામ કરવું અશક્ય બની રહ્યું છે.
મમતાને સીધો સંદેશ
કલ્યાણ બેનર્જીએ પોતાના નિવેદનમાં મમતા બેનર્જીને સીધો સંદેશ આપતા કહ્યું કે હવે પાર્ટીમાં કોને રાખવું તે નિર્ણય તેમણે લેવો પડશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ મમતા બેનર્જી સાથે છે, પરંતુ જો પાર્ટી માત્ર અભિષેક બેનર્જીના આધારે જ ચલાવવાની હોય તો તેમના માટે આગળ કામ કરવું મુશ્કેલ બની શકે છે.
તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે મહત્વના કાનૂની અને રાજકીય મુદ્દાઓમાં તેમની સલાહ લીધા વગર નિર્ણયો કેમ લેવામાં આવે છે. એક વરિષ્ઠ નેતા અને અનુભવી વકીલ તરીકે તેમની અવગણના કરવામાં આવી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો.
આ પણ વાંચો: કેન્સરના દર્દીઓને મોટો ઝટકો! : આ 4 જરૂરી દવાઓના ભાવમાં 10%થી 50% સુધી વધારો શક્ય
ટીએમસીમાં વધતી અસંતોષની લાગણી
કલ્યાણ બેનર્જીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટીએમસી પહેલેથી જ આંતરિક અસંતોષ અને સંગઠનાત્મક પડકારોનો સામનો કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિવિધ અહેવાલો અનુસાર પાર્ટીના કેટલાક ધારાસભ્યો અને સાંસદોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
પાર્ટીના અનેક નેતાઓએ છેલ્લા કેટલાક સમયથી અભિષેક બેનર્જીના નેતૃત્વ અને કાર્યશૈલી અંગે સવાલો ઉઠાવ્યા છે. જોકે મોટાભાગના અસંતુષ્ટ નેતાઓએ મમતા બેનર્જી સામે સીધી ટીકા કરવાનું ટાળ્યું છે, પરંતુ અભિષેક બેનર્જીના વધતા પ્રભાવ સામે નારાજગી વ્યક્ત કરી છે.
બળવાના અહેવાલોથી રાજકીય ગરમાવો
તાજેતરમાં ટીએમસીના કેટલાક ધારાસભ્યો અને સાંસદો દ્વારા અલગ ગઠન અથવા આંતરિક અસંતોષના સંકેતો મળતા પશ્ચિમ બંગાળનું રાજકારણ વધુ ગરમાયું છે. જોકે આ દાવાઓ અંગે પાર્ટી તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, તેમ છતાં કલ્યાણ બેનર્જીના નિવેદનોએ આ ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે.
રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે જો પાર્ટીના વરિષ્ઠ નેતાઓની નારાજગી દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ટીએમસી માટે સંગઠનાત્મક પડકારો વધુ વધી શકે છે. ખાસ કરીને 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી માટે આંતરિક એકતા જાળવવી મહત્વપૂર્ણ બની રહેશે.





