Tihar Jail : તિહાર જેલના એક કેદીના અનોખા લગ્નની ચર્ચા અત્યારે આખા દેશમાં થઈ રહી છે. દિલ્હીના એક મોટા બિઝનેસમેન અને તેમના પરિવારના 5 સભ્યોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો વાજિદ પેરોલ પર જેલની બહાર આવ્યો છે. તેણે ઉત્તર પ્રદેશના મેરઠમાં ભારે પોલીસ સુરક્ષા વચ્ચે યાસ્મીન નામની યુવતી સાથે નિકાહ કર્યા છે. આ અનોખા લગ્નને જોવા માટે આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
અનોખા લગ્ન જોવા લોકોની ભારે ભીડ ઉમટી
દિલ્હીના જાણીતા ઉદ્યોગપતિ મુસ્લિમ ત્યાગી અને તેમના પરિવારના પાંચ સભ્યોની હત્યાના કેસમાં તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા વાજિદે કડક પોલીસ સુરક્ષા હેઠળ મેરઠના તેના વતન ગામ સમોલીમાં લગ્ન કર્યા છે. કોર્ટ દ્વારા મર્યાદિત સમયગાળા માટે પેરોલ અને ખાસ પરવાનગી મળ્યા બાદ દિલ્હી પોલીસની એક ટીમ વાજિદને લઈને મેરઠ પહોંચી હતી. લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થયા પછી, પોલીસ ટીમ તેને ફરીથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની જેલમાં પરત લઈ ગઈ હતી.
પોલીસ સ્ટેશનમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાઈ
અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસની ટીમ સોમવારે સવારે વાજિદને લઈને સૌપ્રથમ મેરઠના દૌરાલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં કાયદાકીય નિયમો અનુસાર વાજિદની હાજરી નોંધાવવામાં આવી હતી અને બધી જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂરી થયા પછી જ તેને તેના વતન ગામ સમોલી લઈ જવામાં આવ્યો હતો. વાજિદના લગ્ન મેરઠના પાવતી અફઝલપુરના રહેવાસી યાસ્મીન સાથે ખૂબ જ મર્યાદિત મહેમાનોની હાજરીમાં સંપન્ન થયા હતા.
ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે નિકાહ સંપન્ન
દૌરાલાના સર્કલ ઓફિસર (CO) પ્રકાશ ચંદ્ર અગ્રવાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે લગ્ન સમારોહમાં ફક્ત નજીકના સંબંધીઓ અને થોડા ખાસ મહેમાનોને જ હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને સમગ્ર કાર્યક્રમ પર નજર રાખવા માટે સ્થાનિક પોલીસની સાથે દિલ્હી પોલીસના જવાનો પણ સતત ત્યાં તૈનાત રહ્યા હતા. આ સમય દરમિયાન, ગામ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓમાં આ લગ્નને લઈને ભારે ઉત્સાહ અને કુતૂહલ જોવા મળ્યું હતું.





