Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશમાં ઘૂસણખોરી રોકવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે ડેમોગ્રાફી ચેન્જ (વસ્તી વિષયક ફેરફાર) પર એક હાઈ લેવલ કમિટીની રચના કરી દીધી છે, જે ઘૂસણખોરી સાથે જોડાયેલા મામલાઓની તપાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2025ના રોજ આ કમિટીનો ઉલ્લેખ કર્યો હતો, જેની રચના હવે કરી દેવામાં આવી છે. આ અંગેની માહિતી ગૃહમંત્રી અમિત શાહે 'X' (ટ્વિટર) ના માધ્યમથી આપી હતી. આ કમિટીની રચના પૂર્વ ન્યાયાધીશ પ્રકાશ પ્રભાકર નાવલેકર (નિવૃત્ત) ના અધ્યક્ષપદે કરવામાં આવી છે. ખરેખર, આ કમિટી દેશમાં થઈ રહેલા ગેરકાયદેસર સ્થળાંતર અને અન્ય અસામાન્ય કારણોસર સમગ્ર ભારતમાં થઈ રહેલા ડેમોગ્રાફિક ચેન્જનું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે. શાહે જણાવ્યું કે ઘૂસણખોરી ભારતના ભવિષ્ય માટે એક મોટો ખતરો છે.
અમિત શાહે શું કહ્યું?
મંગળવારે (26 મે) અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, ઘૂસણખોરી અને અન્ય કારણોસર થતો અકુદરતી ડેમોગ્રાફિક ચેન્જ (Unnatural Demographic Change) કોઈપણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે એક બહુ મોટો પડકાર છે. આ જ પડકારનો સામનો કરવા માટે 15 ઓગસ્ટ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કમિટીની જાહેરાત કરી હતી. મને જણાવતા આનંદ થાય છે કે સરકારે આ કમિટીની રચના કરી દીધી છે.
આ કમિટીમાં કોણ-કોણ સભ્ય હશે?
શાહે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલેકર (નિવૃત્ત) ની અધ્યક્ષતામાં બનેલી આ કમિટીમાં વસ્તી ગણતરી કમિશનર (જનગણના આયુક્ત) ની સાથે દુર્ગા શંકર મિશ્રા (Retd IAS), બાલાજી શ્રીવાસ્તવ (Retd IPS) અને ડૉ. શમિકા રવિ સમિતિના સભ્યો હશે. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ (Foreigners-I) આ સમિતિના સભ્ય સચિવ રહેશે.
મમતા બેનર્જી સામે નોંધાઈ FIR : ઈદના કાર્યક્રમમાં એવું તે શું બોલી ગયા દીદી?
બંગાળમાં બન્યું પ્રથમ ડિટેન્શન સેન્ટર
ઘૂસણખોરોને દેશની બહાર કાઢવા માટે પશ્ચિમ બંગાળમાં પણ એક્શન શરૂ થઈ ગયું છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કડક સૂચનાઓ આપી છે. રાજ્યના માલદામાં પ્રથમ ડિટેન્શન સેન્ટર ખોલવામાં આવ્યું છે, જ્યાં 12 બાંગ્લાદેશીઓને રાખવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિટેક્ટેડ ડિફોલ્ટ હોલ્ડિંગ સેન્ટરની સૂચનાઓ સામે આવ્યા બાદ મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ સરહદ પરથી પરત ફરી રહ્યા છે.





