પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે એક ગંભીર ઘટનાએ ક્રિકેટ જગતને હચમચાવી દીધું છે. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના ઉર્ગુન જિલ્લામાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં ત્રણ સ્થાનિક ક્રિકેટરો કબીર, સિબઘા તુલ્લાહ અને હારૂન સહિત પાંચ લોકો માર્યા ગયા, જ્યારે સાત અન્ય ઘાયલ થયા. આ ખેલાડીઓ શરણામાં એક મૈત્રીપૂર્ણ મેચ રમીને ઉર્ગુન પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમને નિશાન બનાવવામાં આવ્યા. આ ઘટનાના પ્રત્યાઘાત સ્વરૂપે, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે (ACB) પાકિસ્તાનમાં યોજાનારી ત્રિકોણીય શ્રેણીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો, જેનાથી પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે.
ACBની નિંદા અને શોકસંદેશ
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ હુમલાને "કાયરતાપૂર્ણ" ગણાવીને તેની નિંદા કરી અને મૃતક ખેલાડીઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. ACBએ જણાવ્યું કે આ ઘટના ક્રિકેટ સમુદાય અને ખેલાડીઓના પરિવારો માટે ભારે નુકસાન છે. બોર્ડે શોકગ્રસ્ત પરિવારો સાથે એકતા દર્શાવી અને ત્રિકોણીય શ્રેણીમાંથી ખસી જવાનો નિર્ણય જાહેર કર્યો.
ત્રિકોણીય શ્રેણી પર સંકટના વાદળ
આ શ્રેણીમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને શ્રીલંકા ભાગ લેવાના હતા, જેમાં રાવલપિંડી અને લાહોરમાં મેચો રમાવાની હતી. અફઘાનિસ્તાને 17 નવેમ્બરે પાકિસ્તાન, 19 નવેમ્બરે શ્રીલંકા, 23 નવેમ્બરે ફરી પાકિસ્તાન અને 25 નવેમ્બરે શ્રીલંકા સામે મેચ રમવાની હતી. જોકે, અફઘાનિસ્તાનના આ નિર્ણયથી શ્રેણી રદ થવાના આરે છે, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે મોટી આંચકો છે.આ ઘટનાએ બંને દેશો વચ્ચેના તણાવને વધુ તીવ્ર કર્યો છે અને ક્રિકેટના મેદાન પર પણ તેની અસર જોવા મળી છે.






