Phone Battery Myths : આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે, અને તેની સાથે જોડાયેલી સૌથી મોટી ચિંતા તેની 'બેટરી લાઇફ' છે. વર્ષોથી આપણે ફોન ચાર્જ કરવા અને બેટરી બચાવવા વિશે ઘણી વાતો સાંભળતા આવ્યા છીએ. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોનની ટેકનોલોજીમાં ક્રાંતિકારી ફેરફારો આવ્યા છે. તેમ છતાં, લોકોના મનમાં હજુ પણ જૂની અને ખોટી માન્યતાઓ ઘર કરીને બેઠી છે. આજે આપણે એવી 3 મુખ્ય ખોટી માન્યતાઓ વિશે જાણીશું, જે તમારી બેટરી બચાવવાને બદલે તેને નુકસાન પહોંચાડી શકે છે.
બેટરી શૂન્ય ટકા થાય પછી જ ચાર્જ કરવી?
ઘણા લોકો માને છે કે, ફોનની બેટરી પૂરી થઈ જાય અથવા ફોન સ્વીચ ઓફ થાય ત્યારે જ તેને ચાર્જમાં મૂકવો જોઈએ. આ માન્યતા હવે સાવ ખોટી છે. હકીકતમાં, લિથિયમ-આયન બેટરીને જ્યારે તમે 0% થી ચાર્જ કરો છો ત્યારે તેને વધુ પાવર ખેંચવો પડે છે, જે બેટરી પર દબાણ વધારે છે. નિષ્ણાતોના મતે, જ્યારે બેટરી 20 થી 30 ટકાની આસપાસ હોય ત્યારે જ તેને ચાર્જ કરી લેવી જોઈએ. આનાથી બેટરી લાંબા સમય સુધી સારી રહે છે.
Also Read : એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવી સિસ્ટમ ટૂંક સમયમાં આવી રહી છે!
એપ્સને ફોર્સ ક્લોઝ (Force Close) કરવાથી બેટરી બચે છે?
આપણે વારંવાર બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સને સ્વાઇપ કરીને બંધ કરી દઈએ છીએ એમ વિચારીને કે, તેનાથી બેટરી બચશે. પરંતુ હકીકત અલગ છે. આધુનિક સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ એટલી સ્માર્ટ છે કે, તે બેકગ્રાઉન્ડ એપ્સને આપમેળે મેનેજ કરે છે. જ્યારે તમે વારંવાર એપ બંધ કરો છો અને ફરી ખોલો છો, ત્યારે પ્રોસેસરને વધુ મહેનત કરવી પડે છે, જેનાથી બેટરીનો વપરાશ ઘટતો નથી પણ વધી જાય છે.
શું ફાસ્ટ ચાર્જિંગથી બેટરી ખરાબ થાય છે?
મોટાભાગના લોકો માને છે કે, ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરવાથી ફોનની બેટરી જલ્દી બગડી જાય છે. જો આ વાત સાચી હોત, તો સ્માર્ટફોન બનાવતી કંપનીઓ ક્યારેય ફાસ્ટ ચાર્જિંગનો ઓપ્શન રજૂ જ ના કરતાં. ફાસ્ટ ચાર્જિંગ ત્યારે જ નુકસાનકારક છે, જ્યારે તમારો ફોન ચાર્જિંગ દરમિયાન અસાધારણ રીતે ગરમ (Overheat) થતો હોય. જો ફોન ગરમ નથી થતો, તો ફાસ્ટ ચાર્જિંગ સુરક્ષિત છે અને તેનાથી બેટરી પર પણ કોઈ ખરાબ અસર પડતી નથી.




















