Palladium Mall ruckus : અમદાવાદ શહેરમાં પેલેડિયમ મોલ ખાતે 31 ડિસેમ્બરે યોજાનારી ક્રિસમસ ઉજવણીને લઈને વિરોધ જોવા મળ્યો હતો. ભગવા સેના દ્વારા આ ઉજવણી સામે વિરોધ કરવામાં આવ્યો હતો. ભગવા સેના કાર્યકર્તાઓનું કહેવું હતું કે મોલમાં જાહેર સ્થળે ક્રિસમસ ટ્રી મૂકીને કરવામાં આવતી ઉજવણી તેમની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

ક્રિસમસની ઉજવણીને લઈને વિરોધ
વિરોધ દરમિયાન મોલમાં બનાવવામાં આવેલા ક્રિસમસ ટ્રી હટાવવામાં આવ્યો હતો, જેના કારણે મોલમાં થોડા સમય માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક પેલેડિયમ મોલ પહોંચી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

પોલીસે ભગવા સેના કાર્યકર્તાની અટકાયત કરી
પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા ભગવા સેના કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે જાહેર શાંતિ ભંગ ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
'મોલમાં હિન્દુ ધર્મના તહેવારને ઓછુ પ્રાધાન્ય આપવામાં આવે છે'
ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલે કહ્યું કે, આ લોકો હિન્દુ સંસ્કૃતિને નુકશાન પહોચાડી રહ્યાં છે. અમારો કોઈ ધર્મને લઈને વિરોધ નથી પરંતુ, એક જ ધર્મને પ્રાધાન્ય આપવામાં આવે છે, તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. મોલમાં હિન્દુ ધર્મના તહેવારને ઓછુ પ્રાધાન્ય આપવામાં આવે છે. જો આયોજન કરવું હોય તો તમામ તહેવારના સરખા આયોજન કરવામાં આવે એવી અમારી માંગણી છે'.





















