:અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં આજે રામલલ્લાના ગર્ભગૃહના ઉપરના માળે રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા ભવ્ય રીતે સંપન્ન થઈ. આ ધાર્મિક કાર્યક્રમ માટે અભિજિત મુહૂર્ત પસંદ કરવામાં આવ્યો હતો, જે સવારે 11:25 વાગ્યે શરૂ થઈ 11:40 વાગ્યા સુધી ચાલ્યો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધિવત પૂજન કરી રામ દરબારને શાસ્ત્રોક્ત પદ્ધતિથી સ્થાપિત કર્યો.
રામ દરબારમાં મર્યાદાપુરુષોત્તમ રામનો સમગ્ર પરિવાર:
નવસર્જિત રામ દરબાર ગર્ભગૃહના પ્રથમ માળે વસાવવામાં આવ્યો છે. તેમાં ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને ભક્ત હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. તમામ મૂર્તિઓને ભવ્ય આભૂષણોથી શણગારવામાં આવી છે.
મુલ્યવાન દાનથી રામ દરબાર અલૌકિક:
સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે રામ દરબાર માટે હીરા, સોના અને ચાંદીના આભૂષણો દાનમાં આપ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવાડિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે:
11 મુગટ: 1000 કેરેટના હીરાથી બનેલા:
30 કિલો ચાંદી
300 ગ્રામ સોનું
300 કેરેટ રુબી
ચારેય ભાઈઓ માટે: ગળાનો હાર, કાનના કુંડળ, કપાળનું તિલક અને ધનુષ્ય-બાણ:
આ તમામ આભૂષણો સરકારના સહયોગથી ચાર્ટર્ડ પ્લેન મારફતે અયોધ્યા લાવવામાં આવ્યા હતા અને આજે શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને સત્તાવાર રીતે ભેટ આપવામાં આવ્યા.
498 દિવસ પહેલા થઈ હતી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા:
યાદ રહે કે રામલલ્લાની મૂળ પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ પૂર્ણ ઢંઢેરા સાથે કરવામાં આવી હતી. આજે થયેલી રામ દરબાર સ્થાપના એ યાત્રાનો અગત્યનો તબક્કો છે અને ભક્તિ તેમજ સંસ્કૃતિના મહત્ત્વપૂર્ણ સંકેતરૂપે ઉભરી આવી છે.




















