સિહોરી જિલ્લાનાં આબુ રોડ સ્થિત બ્રહ્માકુમારી સંસ્થાનાં મુખ્ય પ્રશાસક દાદી રતન મોહિની લાંબા સમયથી બિમારીમાં સપડાયા હતા. દરમ્યાન અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ગઈકાલે રાતે 01.20 કલાકે 101 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લિધા હતા. તેમનાં પાર્થિવ દેહને રાજસ્થાનનાં આબુ રોડ સ્થિત બ્રહ્માકુમારીનાં મુખ્યાલય શાંતિવનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
વર્ષ 1925માં જન્મેલા દાદી 12 વર્ષની ઉંમરે બ્રહ્મા કુમારી સંસ્થા સાથે જોડાયા હતા. દાદીની રૂચિ બાળપણથી આધ્યાત્મમાં હતી. આ કારણે તેમણે લાંબા સમય સુધી સંસ્થાની સેવા કરી હતી. પોતાની સક્રિયતાને કારણે તેમણે સંસ્થાની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ સંસ્થામાં સક્રિય રહ્યાં હતા. તેમણે ઘણી યાત્રાઓ પણ કરી હતી. કહેવામાં આવે છે કે વર્ષ 1985 અને 2006માં કુલ 70 હજાર કિલોમીટરથી વધુની યાત્રા ચાલીને કરી અને ભારતીય સંસ્કૃતિ તથા મૂલ્યોનો પ્રચાર કર્યો હતો. વર્ષ 1937માં બ્રહ્મા કુમારીની સ્થાપનાથી લઈને અત્યાર સુધી એટલે કે આશરે 87 વર્ષ આ સંસ્થા માટે કામ કર્યું હતું. આશરે 40 વર્ષ સુધી તેઓ યુવા પ્રભાગના અધ્યક્ષ રહ્યાં હતા. દાદી વર્ષ 1937થી 1969 સુધી બ્રહ્મા બાબાના અવ્યક્ત થવા સુધી આશરે 31 વર્ષ તેમની સાથે રહ્યાં હતા. આજે તેમનાં નિધનથી સમસ્ત અનુયાયીઓમાં શોકની લહેર છવાઈ છે.
તેમનો જન્મ સિંધ પ્રદેશમાં થયો હતો
દાદીનો જન્મ 25 માર્ચ 1925ના રોજ હૈદરાબાદ, સિંધ (હાલના પાકિસ્તાન)માં થયો હતો. તેમનું નામ લક્ષ્મી હતું. માત્ર 13 વર્ષની ઉંમરે તેઓ બ્રહ્માકુમારી સંસ્થાના સંપર્કમાં આવ્યાં હતા. આ ઉપરાંત બાળપણથી જ આધ્યાત્મિકતામાં રસ ધરાવતા દાદીએ સંસ્થાની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તેમણે 46 હજારથી વધુ બહેનોને તાલીમ આપી
બ્રહ્માકુમારીનાં દાદી રતન મોહિની દીદી દ્વારા સંસ્થામાં આવતી બહેનોની તાલીમ અને ભરતીનું પણ ધ્યાન રાખતા હતા. બ્રહ્માકુમારી સંગઠનમાં પોતાને સમર્પિત કરતા પહેલા, નાની બહેનોની તાલીમ દાદીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ પછી જ બહેનોને બ્રહ્માકુમારી કહેવામાં આવે છે. તેમણે દેશના 4600 સેવા કેન્દ્રોમાંથી 46 હજારથી વધુ બહેનોને તાલીમ આપી છે.






