બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ઓગડ વિસ્તારમાં આજે ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાઈ રહ્યું છે. આ મહાસંમેલનમાં પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ સહિત ત્રણ જિલ્લાઓમાંથી ઠાકોર સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. સમાજના ભવિષ્યને નવી દિશા આપતું આ સંમેલન ઐતિહાસિક બન્યું છે.
મહાસંમેલનમાં ઉત્તર ગુજરાતના કુલ 27 તાલુકાઓમાંથી ઠાકોર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો જોડાયા છે. સમાજમાં એકરૂપતા, શિસ્ત અને સામાજિક સુધારાને ધ્યાનમાં રાખીને આ સંમેલનમાં ઠાકોર સમાજનું નવું સામાજિક બંધારણ રચવામાં આવી રહ્યું છે. પાટણ, બનાસકાંઠા, વાવ અને થરાદ જિલ્લાના આગેવાનો દ્વારા સંયુક્ત રીતે આ બંધારણને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
આ સંમેલનમાં સમાજને સ્પર્શતા કુલ 16 જેટલા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. જેમાં કુરિવાજ નાબૂદી, લગ્ન ખર્ચમાં ઘટાડો, શિક્ષણ પ્રોત્સાહન, નશામુક્તિ, સામાજિક શિસ્ત, યુવા માર્ગદર્શન, મહિલા સશક્તિકરણ અને સમાજની એકતા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. ચર્ચા બાદ આ તમામ મુદ્દાઓને આજથી જ સમાજમાં અમલીકરણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
મહાસંમેલનમાં ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો તેમજ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો હાજર રહ્યા છે. તેઓ સમાજના નવા બંધારણ વિશે વિસ્તૃત માહિતી આપી સમાજને એક સંકલિત અને પ્રગતિશીલ દિશામાં આગળ વધવા માટે આહ્વાન કરી રહ્યા છે.





















