Home Gujarat Surat Surat Food Department Raid Mango Shake Ice Dish Centers

સુરતમાં ઝાડા-ઉલ્ટીના કેસ વધતા ફૂડ વિભાગ એક્શનમાં : 36 મેંગો શેક અને આઇસ ડિશ સેન્ટરો પર દરોડા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
Image Credit: SMC Web
Published by: Chintan Chavda
Last Updated: May 07, 2026, 05:12 AM IST

સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાતા મહાનગરપાલિકા તંત્ર સતર્ક બન્યું છે. ખાસ કરીને ઝાડા-ઉલ્ટી અને પેટ સંબંધિત બીમારીઓના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરભરમાં આકસ્મિક ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. ઉનાળાની સિઝનમાં લોકો મોટા પ્રમાણમાં મેંગો શેક, કેરીનો રસ અને આઇસ ડિશનું સેવન કરતા હોય છે, ત્યારે ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.

ફૂડ વિભાગની ટીમોએ શહેરના વિવિધ ઝોનમાં એકસાથે કાર્યવાહી કરીને કુલ 36 દુકાનો અને સેન્ટરો પર તવાઈ બોલાવી હતી. જેમાં 21 મેંગો શેકની દુકાનો અને 15 આઇસ ડિશ સેન્ટરોનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન અનેક સ્થળોએ અસ્વચ્છતા, ગંદકી અને શંકાસ્પદ ખાદ્ય સામગ્રી મળી આવતા અધિકારીઓએ સેમ્પલ એકત્રિત કરીને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.

સિન્થેટિક કલર અને કેમિકલના ઉપયોગની આશંકા

ઉનાળાની ગરમીમાં ઠંડા પીણાં અને મેંગો આધારિત ખાદ્ય વસ્તુઓની માંગમાં ભારે વધારો થતો હોય છે. પરંતુ વધુ નફો કમાવાની લાલચમાં કેટલાક વેપારીઓ કુદરતી કેરીના બદલે સિન્થેટિક કલર, કૃત્રિમ ફ્લેવર અને કેમિકલયુક્ત એસેન્સનો ઉપયોગ કરતા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવા કેમિકલયુક્ત પદાર્થો માનવ શરીર માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ખાસ કરીને લીવર, કિડની અને પાચનતંત્ર પર તેની ગંભીર અસર પડી શકે છે. લાંબા સમય સુધી આવા પદાર્થોનું સેવન કરવામાં આવે તો શરીરમાં ઝેરી તત્ત્વો એકત્રિત થઈને ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. બાળકો અને વૃદ્ધો માટે આવી ખાદ્ય વસ્તુઓ વધુ જોખમી માનવામાં આવે છે.

શહેરમાં વધતા રોગચાળાએ તંત્રની ચિંતા વધારી

સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઝાડા-ઉલ્ટી, પેટમાં દુખાવો અને ફૂડ પોઈઝનિંગ જેવા કેસોમાં વધારો નોંધાયો છે. ખાનગી હોસ્પિટલો અને સરકારી આરોગ્ય કેન્દ્રોમાં આવા દર્દીઓની સંખ્યા વધી રહી હોવાનું પણ સામે આવ્યું છે.

ખાસ કરીને ખુલ્લામાં વેચાતી ખાદ્ય વસ્તુઓ, બરફનો અયોગ્ય ઉપયોગ અને ગંદા પાણીથી બનાવાતા પીણાં લોકોના આરોગ્ય માટે ખતરો ઉભો કરી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ ફૂડ સેફ્ટી ચેકિંગ વધુ કડક બનાવવાનું નક્કી કર્યું છે.
ગુજરાતમાં માવઠા બાદ હવે આકરો ઉનાળો શરૂ: રાજકોટ સૌથી ગરમ શહેર; 7 શહેરોમાં પારો 40°C પાર

લેબ રિપોર્ટ બાદ થશે કાર્યવાહી

ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલોના રિપોર્ટ હવે લેબોરેટરીમાંથી આવવાના બાકી છે. જો પરીક્ષણ દરમિયાન ખાદ્ય સુરક્ષા ધોરણોના ભંગની પુષ્ટિ થશે તો સંબંધિત વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં દંડ, લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી તેમજ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.

મહાનગરપાલિકાના અધિકારીઓએ વેપારીઓને સ્વચ્છતા જાળવવા, ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવા સૂચના આપી છે. સાથે જ લોકોને પણ બહારની ખાદ્ય વસ્તુઓ ખરીદતી વખતે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now