ગાંધીનગરમાં ફરી એક વખત અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના આંદોલનના માર્ગે ઉતરવાની તૈયારીમાં છે!. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નેતૃત્વ હેઠળ સમાજને સંગઠિત કરવા અને જાગૃત કરવાનો હેતુ રાખીને 26 જાન્યુઆરીની અડધી રાત્રે ગાંધીનગરમાં ‘અભ્યુદય’ મહાકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા ઠાકોર સમાજને આગળ લાવવાનો અને સમાજના ઉત્થાન માટે નવી દિશા આપવાનો સંકલ્પ લેવામાં આવશે.
'7 હજાર ગામડાઓમાંથી ઠાકોર સમાજના લોકો જોડાશે'
આ અભ્યુદય કાર્યક્રમ 26 જાન્યુઆરીની રાત્રે 3 વાગ્યે શરૂ થશે અને તેમાં રાજ્યના 7 હજાર ગામડાઓમાંથી ઠાકોર સમાજના લોકો જોડાશે. મોટી સંખ્યામાં સમાજના લોકો ગાંધીનગર પહોંચે તેવી તૈયારી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ 26 જાન્યુઆરીની રાત્રે શરૂ થઈને 27 જાન્યુઆરીની વહેલી સવારે મહાસંમેલન સ્વરૂપે યોજાશે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રામકથા મેદાન પહોંચ્યા હતા, જ્યાં તેમણે અભ્યુદય મહાસંમેલનની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
'સમાજ ઊંઘતો નથી, વ્યસનોથી બહાર નીકળી રોજગારની દિશા પકડી'
આ મહાસંમેલનનો મુખ્ય હેતુ સરસ્વતી ધામનું નિર્માણ, તેમજ ઠાકોર સમાજના યુવાનોના શૈક્ષણિક, સામાજિક અને રોજગાર ક્ષેત્રે ઉત્થાન માટેની દિશા નક્કી કરવાનો છે. આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, “અમારો સમાજ ઊંઘતો નથી, વ્યસનોથી બહાર નીકળ્યો છે અને હવે રોજગારની દિશા પકડી રહ્યો છે. આ મહાસંમેલનમાં તમામ સામાજિક અને રાજકીય આગેવાનો પણ હાજરી આપશે, જે સમાજ માટે એક મહત્વપૂર્ણ સંદેશ સાબિત થશે.
ઠાકોર સમાજમાં ભારે ઉત્સાહ
આ મહાસંમેલનને લઈને ઠાકોર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાજ્યભરમાં તેની તૈયારીઓ તેજ બની છે. આગામી દિવસોમાં આ કાર્યક્રમ રાજ્યની રાજકીય અને સામાજિક પરિસ્થિતિમાં નવી ચર્ચાઓને જન્મ આપે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




















