Thailand Visa Free: થાઈલેન્ડ ફરવાનું સપનું જોતા ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે થાઈલેન્ડ સરકાર ભારતીયો સહિત અનેક દેશોના નાગરિકો માટે વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા બંધ કરી શકે છે અથવા તેમાં મોટા ફેરફારો કરી શકે છે. આ ચર્ચાઓના કારણે ઘણા ભારતીય પ્રવાસીઓમાં મૂંઝવણ સર્જાઈ હતી અને થાઈલેન્ડ જવા માટેના બુકિંગમાં પણ ઘટાડો નોંધાયો હતો. હવે આ તમામ અટકળો વચ્ચે થાઈલેન્ડ સરકારે સ્પષ્ટતા કરી છે કે, ભારતીય નાગરિકો માટે વિઝા વગર પ્રવેશવાની સુવિધા હાલ યથાવત રહેશે. જોકે, સરકારે આ સુવિધામાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. અગાઉ ભારતીય પ્રવાસીઓને વિઝા વગર થાઈલેન્ડમાં 60 દિવસ સુધી રહેવાની મંજૂરી હતી, જ્યારે હવે આ સમયમર્યાદા ઘટાડીને 30 દિવસ કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે, આ નિર્ણય પ્રવાસન વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા અને વિઝા-ફ્રી વ્યવસ્થાના દુરુપયોગને અટકાવવા માટે લેવામાં આવ્યો છે.
વિઝા વગર મળશે એન્ટ્રી, પરંતુ હવે માત્ર 30 દિવસ માટે
થાઈલેન્ડના પ્રવાસન મંત્રી સુરાસાક ફાનચરોએનવોરાકુલે જણાવ્યું છે કે,ભારતીય નાગરિકો અગાઉની જેમ વિઝા વગર થાઈલેન્ડમાં પ્રવેશ કરી શકશે. જોકે, હવે તેઓ વધુમાં વધુ 30 દિવસ સુધી જ દેશમાં રોકાઈ શકશે. અગાઉ લાગુ નિયમ મુજબ ભારતીયોને 60 દિવસ સુધી વિઝા-ફ્રી રહેવાની મંજૂરી હતી, પરંતુ હવે નવી સમયમર્યાદા અમલમાં આવશે. સરકારનું માનવું છે કે, મોટાભાગના ભારતીય પ્રવાસીઓની મુસાફરી સામાન્ય રીતે થોડા દિવસોની જ હોય છે, તેથી 30 દિવસની મર્યાદા પ્રવાસન પર ખાસ અસર કરશે નહીં.
વિઝા નિયમ બદલાવાની ચર્ચાથી ઘટ્યા હતા ભારતીય પ્રવાસીઓ
થોડા સમય પહેલાં થાઈ સરકારે વિઝા-ફ્રી સુવિધા ધરાવતા દેશોની યાદીમાં ઘટાડો કરવાની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે આ પ્રસ્તાવ અંતે અમલમાં આવ્યો નહોતો, પરંતુ તેની અસર ભારતીય પ્રવાસીઓ પર જોવા મળી હતી. અનિશ્ચિતતાના કારણે ભારતમાંથી થાઈલેન્ડ જતાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓએ પણ સરકાર સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ થાઈ સરકારે ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: મોદી કેબિનેટના 7 મોટા નિર્ણયો : ₹1.27 લાખ કરોડના સેમીકોન 2.0 સહિત અનેક યોજનાઓને મંજૂરી
ભારત થાઈલેન્ડ માટે મહત્વનું પ્રવાસન બજાર
ભારત આજે થાઈલેન્ડના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય પ્રવાસન બજારોમાંનું એક છે. ચીન અને મલેશિયા બાદ સૌથી વધુ પ્રવાસીઓ ભારતમાંથી થાઈલેન્ડ પહોંચે છે. દર વર્ષે લાખો ભારતીયો હનીમૂન, ફેમિલી વેકેશન, બીચ હોલિડે, એડવેન્ચર ટૂરિઝમ અને શોપિંગ માટે થાઈલેન્ડની મુલાકાત લે છે. ભારતીય પ્રવાસીઓ થાઈલેન્ડના હોટેલ, રેસ્ટોરન્ટ, ટ્રાવેલ અને સ્થાનિક વેપાર ક્ષેત્ર માટે મહત્વનો આવક સ્ત્રોત માનવામાં આવે છે.
નિયમોમાં ફેરફાર પાછળ શું છે કારણ?
થાઈ સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી કેટલાક વિદેશી નાગરિકો વિઝા-ફ્રી વ્યવસ્થાનો દુરુપયોગ કરી રહ્યા હતા. કેટલાક લોકો પ્રવાસી તરીકે પ્રવેશ લઈને દેશમાં ગેરકાયદે રોજગાર કરતા હતા અથવા વિઝા સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું સામે આવ્યું હતું. આવા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સરકારે વિઝા વગર રહેવાની સમયમર્યાદા ઘટાડીને 30 દિવસ કરવાનો નિર્ણય લીધો છે. સરકારનું માનવું છે કે, આ પગલાથી પ્રવાસન અને સુરક્ષા વચ્ચે યોગ્ય સંતુલન જાળવી શકાશે.
આ દેશોના નાગરિકોને પણ મળશે લાભ
ભારત ઉપરાંત ક્રોએશિયા, બલ્ગેરિયા, સાયપ્રસ, માલ્ટા અને માલદીવના નાગરિકો પણ હવે 30 દિવસ સુધી વિઝા વગર થાઈલેન્ડમાં પ્રવેશ કરી શકશે. થાઈ સરકારે સંકેત આપ્યો છે કે, ભવિષ્યમાં પ્રવાસન અને સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નીતિની ફરી સમીક્ષા કરવામાં આવી શકે છે.
ભારતીય પ્રવાસીઓ માટે શું બદલાશે?
જો તમે ટૂંક સમયમાં થાઈલેન્ડ ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે સૌથી મહત્વની વાત એ છે કે હજુ પણ વિઝા લેવાની જરૂર નથી. પરંતુ હવે પ્રવાસનું આયોજન કરતાં 30 દિવસની નવી મર્યાદા ધ્યાનમાં રાખવી પડશે. સામાન્ય રીતે મોટાભાગના ભારતીય પ્રવાસીઓ 5થી 10 દિવસની ટૂર માટે થાઈલેન્ડ જાય છે, તેથી નવા નિયમથી સામાન્ય પ્રવાસીઓ પર બહુ મોટી અસર થવાની શક્યતા નથી. જોકે લાંબા સમય સુધી રહેવાની યોજના ધરાવતા લોકોએ નવા નિયમો અનુસાર પોતાની મુસાફરીનું આયોજન કરવું પડશે.
થાઈલેન્ડના પ્રવાસનને મળશે ફાયદો
પ્રવાસન થાઈલેન્ડના અર્થતંત્રનો મહત્વનો આધારસ્તંભ છે. ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો ન થાય અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટે સરકારે વિઝા-ફ્રી સુવિધા યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. સરકારનું માનવું છે કે, આ નિર્ણયથી ભારતીય પ્રવાસીઓનો વિશ્વાસ વધશે અને આગામી મહિનાઓમાં ફરી મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ થાઈલેન્ડની મુલાકાત લેશે. નવા નિયમો સાથે થાઈલેન્ડ પ્રવાસનને પ્રોત્સાહન આપવાની સાથે સુરક્ષા અને કાયદાનું પાલન પણ સુનિશ્ચિત કરવા માંગે છે.





