captain Shubman Gill has created a master plan: ભારતીય ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન શુભમન ગિલ ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ગુરુવાર, 22 જાન્યુઆરી 2026 થી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં શરૂ થઈ રહેલી રણજી ટ્રોફીની મહત્વની મેચમાં શુભમન ગિલ પંજાબની ટીમમાં રમશે. આ મેચ સૌરાષ્ટ્ર સામે છે, જેમાં રવિન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ સામેલ છે. ગ્રુપ B ની આ મેચ પંજાબ માટે ખૂબ જ મહત્વની છે કારણ કે, હાલમાં ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને શુભમન ગિલનો મોટા સ્કોર જ ટીમને આગળ લઈ જઈ શકે છે.
ટીકાઓનો જવાબ
હાલમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી વનડે સિરીઝમાં મળેલી હાર પછી શુભમન ગિલની કેપ્ટનશીપ પર સવાલો ઉઠ્યા હતા. આ ટીકાઓનો જવાબ આપવા શુભમન ગિલએ આરામ કરવાને બદલે મેદાન પર તીવ્ર પ્રેક્ટિસ કરવાનું પસંદ કર્યું છે. તે માત્ર પોતાની બેટિંગ જ નહીં, પણ પોતાની આગેવાની હેઠળ પંજાબને વિજય અપાવીને ટીકાકારોને શાંત કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
ટેસ્ટ પ્લેયર્સ માટે સલાહ
કેપ્ટન શુભમન ગિલનું માનવું છે કે, ટીમ ઈન્ડિયાના જે ખેલાડીઓ ટેસ્ટ ફોર્મેટમાં નિયમિત રમે છે, તેમણે ડોમેસ્ટિક ક્રિકેટ એટલે કે, રણજી ટ્રોફી રમવી જોઈએ. શુભમન ગિલ ઈચ્છે છે કે, IPL શરૂ થાય તે પહેલા તમામ ટેસ્ટ ખેલાડીઓ ઓછામાં ઓછી એક રણજી મેચ રમે. આનાથી ખેલાડીઓને લાંબા ફોર્મેટ માટે પૂરતી પ્રેક્ટિસ મળશે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માટે ટીમની તૈયારીઓ મજબૂત થશે.
2027 વર્લ્ડ કપનો રોડમેપ
શુભમન ગિલ માત્ર વર્તમાન જ નહીં પરંતુ ભવિષ્ય પર પણ નજર રાખી રહ્યો છે. તેને અત્યારથી જ 2027 ના વનડે વર્લ્ડ કપ માટેની યોજનાઓ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. શુભમન ગિલનો મુખ્ય ઉદ્દેશ્ય ટીમના મુખ્ય ખેલાડીઓને મેચ-ફિટ રાખવાનો અને ટીમમાં સતત સુધારો કરવાનો છે. તે માને છે કે, અત્યારથી જ કોર ટીમ તૈયાર કરવાથી મોટા ટૂર્નામેન્ટમાં ફાયદો થશે.
ફાસ્ટ બોલરો પર ફોકસ
ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન શુભમન ગિલ આગામી સમય માટે મજબૂત પેસ એટેક તૈયાર કરવા માંગે છે. ખાસ કરીને હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા યુવા બોલરોને ODI ફોર્મેટ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આવનારા વર્ષો માટે જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણાની જોડી ભારતીય ફાસ્ટ બોલિંગની કરોડરજ્જુ રહેશે તેવું શુભમન ગિલનું આયોજન છે.





















