વિશ્વભરમાં સ્વિસ બેંકો તેમની ગુપ્તતા અને સુરક્ષા વ્યવસ્થા માટે પ્રખ્યાત છે. સામાન્ય લોકોમાં એવી માન્યતા હોય છે કે આ બેંકોમાં નાણાં જમા કરાવવાથી જંગી વ્યાજ મળે છે અને સંપત્તિમાં મોટો વધારો થાય છે. જો તમે પણ આવું વિચારતા હોવ તો તમારે ફરી એકવાર વિચારવાની જરૂર છે. વાસ્તવિકતા એ છે કે સ્વિટ્ઝર્લેન્ડની બેંકિંગ પ્રણાલી ભારત કરતા તદ્દન વિપરીત આર્થિક તર્ક પર કામ કરે છે. ચાલો સમજીએ કે જો તમે સ્વિસ બેંકમાં 10 લાખ રૂપિયા જમા કરો તો 5 વર્ષ પછી તેની સ્થિતિ શું હશે.
વ્યાજ મળતું નથી પણ ચૂકવવું પડે છે
મોટાભાગની સ્વિસ રિટેલ બેંકો તેમના ગ્રાહકોને લગભગ 0 ટકા વ્યાજ આપે છે. આનો સીધો અર્થ એ છે કે તમારા પૈસા બેંકમાં પડ્યા રહે છે પરંતુ તેમાં કોઈ વધારો થતો નથી. સ્વિટ્ઝર્લેન્ડમાં ઘણા વર્ષોથી ઓછા વ્યાજ દરોની સ્થિતિ છે. આશ્ચર્યની વાત એ છે કે જો તમે ખૂબ મોટી રકમ જમા કરો છો તો બેંક તમારી પાસે પૈસા સાચવવા માટે ચાર્જ વસૂલે છે જેને નેગેટિવ વ્યાજ દર કહેવામાં આવે છે. એટલે કે વ્યાજ કમાવવાને બદલે તમારે દર વર્ષે બેંકને કસ્ટડી ફી ચૂકવવી પડે છે.
લોકો શા માટે પૈસા જમા કરે છે
સ્વિસ બેંકોમાં લોકો વ્યાજની લાલચમાં પૈસા જમા કરાવતા નથી. અહીં ખાતું ખોલાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ગોપનીયતા જાળવવાનો હોય છે. આ ઉપરાંત રાજકીય સ્થિરતા અને સંપત્તિની લાંબા ગાળાની સુરક્ષા માટે લોકો અહીં નાણાં પાર્ક કરે છે. હાઈ નેટવર્થ ધરાવતા ક્લાયન્ટ્સ કસ્ટમાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોનો વિકલ્પ પસંદ કરી શકે છે પરંતુ તેનું વળતર શેરબજાર અને વૈશ્વિક આર્થિક સ્થિતિ પર આધારિત હોય છે તેને ફિક્સ વ્યાજ સાથે કોઈ લેવાદેવા હોતી નથી.
5 વર્ષ પછી પૈસાની કિંમત
જો તમે 10 લાખ રૂપિયાને સ્વિસ ફ્રેંક કરન્સીમાં બદલીને 5 વર્ષ માટે મૂકી રાખો તો શૂન્ય વ્યાજ હોવાથી તે રકમ સ્વિસ કરન્સી મુજબ યથાવત રહે છે. ઉલટાનું જો નેગેટિવ ચાર્જ લાગે તો રકમમાં થોડો ઘટાડો થઈ શકે છે. પાંચ વર્ષ બાદ તમારા પૈસાનું મૂલ્ય સંપૂર્ણપણે એક્સચેન્જ રેટ પર નિર્ભર કરે છે. એટલે કે ભારતીય રૂપિયા અને સ્વિસ ફ્રેંક વચ્ચેના ભાવમાં થતા ઉતાર ચઢાવને કારણે રૂપિયામાં મૂલ્ય વધી કે ઘટી શકે છે. લોકો અહીં બચત વધારવા નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને ટેક્સ પ્લાનિંગ માટે ખાતા રાખે છે.





















