ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દાંડા ગામે 26 વર્ષીય યુવાનનું શંકાસ્પદ મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતક યુવાનની ઓળખ દાંડા ગામના નિશાળ ફળિયા, નવીનગરી વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ પ્રવીણ વસાવા (ઉંમર 26 વર્ષ) તરીકે થઈ છે.
બેભાન અવસ્થામાં પડી ગયા અને...
મળતી માહિતી મુજબ વિષ્ણુભાઈ 15 જાન્યુઆરીના રોજ ઘરે પરત આવ્યા બાદ અચાનક ઘરમાં બેભાન અવસ્થામાં પડી ગયા હતા. ઘટના નજરે પડતા આજુબાજુના લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને તેમને આમોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી તેમની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
પરિવારજનોમાં શોકનો માહોલ
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સતત સારવાર દરમિયાન 17 જાન્યુઆરીના રોજ વહેલી સવારે આશરે ચાર વાગ્યે વિષ્ણુભાઈનું મોત થયું હતું. તેમના અવસાન બાદ પોસ્ટમોર્ટમ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી લાશને તેમના વતન દાંડા ગામે લાવવામાં આવી હતી. યુવાનના અચાનક મૃત્યુને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ છે, જ્યારે પોલીસ મૃત્યુના સાચા કારણ જાણવા માટે તપાસ આગળ ધપાવી રહી છે.




















