Home Health-lifestyle Surya Namaskar Benefits For Diabetes Patients

ડાયાબિટીસના દર્દીઓ માટે સૂર્ય નમસ્કાર સંજીવની સમાન : રિસર્ચમાં થયો મોટો ખુલાસો

Sun Salutation is like a life-saver for diabetes patients
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 23, 2026, 11:50 AM IST

યોગ ગુરુઓ અને વૈજ્ઞાનિકોના મતે રોજ સૂર્ય નમસ્કાર કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં અને સ્વાદુપિંડ (Pancreas) ને સક્રિય કરવામાં મોટી મદદ મળે છે.

સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસ (Diabetes) એક ગંભીર લાઈફસ્ટાઈલ ડિસીઝ બની ચૂક્યો છે. આ સ્થિતિ વચ્ચે હેલ્થ એક્સપર્ટ્સ અને લેટેસ્ટ મેડિકલ રિસર્ચમાં એક આશાસ્પદ ખુલાસો થયો છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન (ADA) ના એક રિસર્ચ અનુસાર, ડાયાબિટીસના દર્દીઓ માટે 'સૂર્ય નમસ્કાર' (Surya Namaskar) એક સંજીવની જડીબુટ્ટી સમાન સાબિત થઈ શકે છે. નિયમિત રીતે તેના 12 આસનોનો સેટ કરવાથી માત્ર શુગર જ કંટ્રોલ નથી થતું, પરંતુ ડાયાબિટીસના કારણે થતા નર્વ ડેમેજ (ચેતાતંતુઓની નબળાઈ) ને પણ રિવર્સ કરી શકાય છે.

વૈજ્ઞાનિક રિસર્ચમાં શું સામે આવ્યું?

વૈજ્ઞાનિકોના મતે જ્યારે કોઈ દર્દી સૂર્ય નમસ્કાર કરે છે, ત્યારે તેના શરીરના તમામ અંગોમાં ખેંચાણ (Stretch) અને સંકોચન થાય છે.

  • ઇન્સ્યુલિન ઉત્પાદનમાં વધારો: સૂર્ય નમસ્કારના ફોરવર્ડ બેન્ડિંગ (આગળ ઝૂકવાના) આસનો પેટના ભાગ પર દબાણ લાવે છે. આનાથી સ્વાદુપિંડ (Pancreas) ના બીટા સેલ્સ ફરી સક્રિય થાય છે અને ઇન્સ્યુલિનનું કુદરતી ઉત્પાદન વધે છે.

  • નર્વ ડિસઓર્ડરમાં રાહત: ડાયાબિટીસના કારણે હૃદય અને લોહીની નસોને નિયંત્રિત કરતી નસો નબળી પડી જાય છે (જેને કાર્ડિયાક ઓટોનોમિક ન્યુરોપથી કહે છે). 6 મહિના સુધી રોજ સૂર્ય નમસ્કાર કરનારા દર્દીઓમાંથી લગભગ 25% લોકોના નર્વ ફંક્શન ફરી એકદમ નોર્મલ થઈ ગયા હોવાનું રિસર્ચમાં નોંધાયું છે.

સૂર્ય નમસ્કાર કરવાની સાચી રીત અને નિયમો

યોગ ગુરુઓના જણાવ્યા અનુસાર, સૂર્ય નમસ્કાર એ 12 શારીરિક મુદ્રાઓ (Asanas) અને પ્રાણાયામ (શ્વાસોચ્છવાસની પ્રક્રિયા) નું સંતુલન છે. તેને સવારે ખાલી પેટે સૂર્યની સામે મુખ રાખીને કરવું સૌથી વધુ ફાયદાકારક છે. શ્વાસ ક્યારે લેવો અને ક્યારે છોડવો, તેની સાચી સમજ સાથે ધીમી ગતિએ 3 થી 5 રાઉન્ડથી શરૂઆત કરવી જોઈએ અને ધીમે-ધીમે ક્ષમતા મુજબ વધારવી જોઈએ.

દર્દીઓએ રાખવાની જરૂરી સાવચેતીઓ

ડાયાબિટીસના દર્દીઓએ સૂર્ય નમસ્કાર શરૂ કરતા પહેલા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે:

  1. ડોક્ટરની સલાહ લો: જો તમને હાઈ બ્લડ પ્રેશર, હૃદયની બીમારી, ચક્કર આવવાની સમસ્યા અથવા જોઈન્ટ પેઈન (સાંધાનો દુખાવો) હોય, તો શરૂ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટરની મંજૂરી ચોક્કસ લો.

  2. શુગર લેવલ ચેક કરો: યોગાભ્યાસ શરૂ કરતા પહેલા અને પૂરો કર્યા પછી બ્લડ શુગર લેવલ મોનિટર કરો, જેથી ખબર પડે કે કસરતની તમારા શરીર પર કેવી અસર થઈ રહી છે.

  3. શરીર સાથે જબરદસ્તી ન કરો: શરૂઆતના દિવસોમાં પ્રોફેશનલ યોગ ટ્રેનરની દેખરેખ હેઠળ જ આસનો શીખો. શરીર જેટલું સાથ આપે એટલું જ ઝૂકો, ખોટી રીતે આંચકા મારવાથી બચો.

  4. દવાઓ બંધ ન કરવી: સૂર્ય નમસ્કાર એ ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો એક સપોર્ટિવ (પૂરક) રસ્તો છે, તે દવાનો વિકલ્પ નથી. ડોક્ટરની સલાહ વગર ક્યારેય શુગરની દવાઓ બંધ ન કરવી.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now