Home Health-lifestyle Amarnath Yatra 2026 Traffic Advisory New Route Timings Security Guidelines

અમરનાથ યાત્રાએ જતાં પહેલાં આટલું જરૂર વાંચો! : આ સમય બાદ રૂટ પર નહીં મળી પ્રવેશ, પોલીસે જાહેર કર્યા નવા રૂટ અને નિયમો

Amarnath Yatra 2026 Advisory
Published by: Nirali Gohil
Last Updated: Jun 23, 2026, 06:38 AM IST

Amarnath Yatra 2026 Advisory: હિમાલયની ગોદમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફાના દર્શન માટે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે પણ 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાને લઈને જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓએ તૈયારીઓ તેજ કરી દીધી છે. યાત્રા દરમિયાન લાખો ભક્તોની અવરજવર અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર પોલીસે નવી ટ્રાફિક એડવાઇઝરી અને માર્ગદર્શિકા જાહેર કરી છે. પ્રશાસનનું કહેવું છે કે, યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને ટ્રાફિકને સુવ્યવસ્થિત રાખવા માટે કેટલાક મહત્વપૂર્ણ રૂટ પર સમય મર્યાદા લાગુ કરવામાં આવી છે. આ નિયમોનું પાલન કરવાથી યાત્રાળુઓને અનાવશ્યક મુશ્કેલીઓ અને વિલંબથી બચી શકાશે. તેથી અમરનાથ યાત્રા પર જવાના વિચારે રહેલા દરેક શ્રદ્ધાળુએ મુસાફરી પહેલાં આ નવી ગાઇડલાઇન જાણી લેવી જરૂરી બની ગઈ છે.

નવયુગ ટનલ માટે લાગુ કરાયા નવા નિયમો

જમ્મુ-કાશ્મીર પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ નવયુગ ટનલ નજીક વાહનોની અવરજવર માટે ખાસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. સુરક્ષા કારણોસર હવે કાશ્મીરથી જમ્મુ તરફ જતા વાહનો સવારે 11:30 વાગ્યા પહેલાં ટનલ પાર કરી શકશે નહીં. તે જ રીતે જમ્મુથી કાશ્મીર તરફ જતા વાહનો માટે બપોરે 3 વાગ્યા પછી ટનલમાંથી પસાર થવા પર પ્રતિબંધ રહેશે. જો કોઈ યાત્રાળુ નિર્ધારિત સમય બાદ આ સ્થળે પહોંચશે તો તેને નજીકના યાત્રા કેમ્પમાં રોકવામાં આવશે.

વિવિધ વિસ્તારો માટે નક્કી કરાયા કટ-ઓફ સમય

યાત્રા દરમિયાન ટ્રાફિકનું યોગ્ય સંચાલન કરવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ વાહનોની અવરજવર માટે અલગ-અલગ સમય નક્કી કરવામાં આવ્યા છે. મીર બજારથી શ્રીનગર અને અનંતનાગ તરફ જતાં વાહનો માટે સાંજે 4 વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે. જ્યારે નવયુગ ટનલ તરફ જતાં વાહનોએ સાંજે 5 વાગ્યા પહેલાં ત્યાંથી પસાર થવું ફરજિયાત રહેશે. પંથાચોક શ્રીનગરથી ગાંદરબલ, બારામુલ્લા અને અનંતનાગ તરફ જતા વાહનોને બપોરે 3 વાગ્યા સુધી જ મંજૂરી આપવામાં આવશે. આ સમય બાદ વાહનોને આગળ વધવાની મંજૂરી નહીં મળે.

આ પણ વાંચો: ઓફ-સીઝનમાં યુરોપ કેમ જવું જોઈએ? : જાણો 5 મોટા ફાયદા

બાલટાલ અને અન્ય રૂટ માટે ખાસ સૂચનાઓ

શાદીપોરા-સુમ્બલ વિસ્તારથી મણિગામ અને ઉત્તર કાશ્મીર તરફ જતાં વાહનો બપોરે 3:30 વાગ્યા સુધી જ નીકળી શકશે. જ્યારે મણિગામથી શ્રીનગર તરફ જતાં વાહનો માટે બપોરે 1 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. અમરનાથ યાત્રાના મહત્વના બાલટાલ રૂટ તરફ જતાં વાહનો માટે સાંજે 5 વાગ્યાનો કટ-ઓફ સમય રાખવામાં આવ્યો છે. યાત્રાળુઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની મુસાફરી અગાઉથી આયોજનબદ્ધ કરે અને સમય મર્યાદાનું ખાસ ધ્યાન રાખે.

યાત્રાળુઓ માટે મહત્વપૂર્ણ સલાહ

પોલીસ અને પ્રશાસન દ્વારા યાત્રાળુઓને ગાડીમાં પૂરતું ઈંધણ રાખવાની, જરૂરી દસ્તાવેજો સાથે રાખવાની અને રસ્તામાં બિનજરૂરી રોકાણ ટાળવાની સલાહ આપવામાં આવી છે. સુરક્ષા તપાસ અને ટ્રાફિક નિયંત્રણને કારણે કેટલાક સ્થળોએ સમય લાગી શકે છે, તેથી વધારાનો સમય લઈને મુસાફરી શરૂ કરવી વધુ યોગ્ય રહેશે. સાથે જ યાત્રાળુઓને સત્તાવાર વેબસાઇટ, સ્થાનિક વહીવટી તંત્ર અને વિશ્વસનીય સમાચાર માધ્યમો દ્વારા સતત અપડેટ મેળવતા રહેવા પણ સૂચન કરવામાં આવ્યું છે. હવામાનમાં અચાનક ફેરફાર અથવા સુરક્ષા કારણોસર ટ્રાફિક વ્યવસ્થામાં પણ બદલાવ થઈ શકે છે.

આ પણ વાંચો: સ્વાદ સાથે સ્વાસ્થ્ય પણ જળવાશે : કેરી ખાતા પહેલાં આ આયુર્વેદિક અને સાયન્ટિફિક નિયમો જાણી લો!

3 જુલાઈથી શરૂ થશે 58 દિવસીય પવિત્ર યાત્રા

નોંધનીય છે કે અમરનાથ યાત્રા 2026નો પ્રારંભ 3 જુલાઈથી થશે અને 28 ઓગસ્ટ, રક્ષાબંધનના દિવસે તેનું સમાપન થશે. કુલ 58 દિવસ સુધી ચાલનારી આ યાત્રા બાલટાલ અને પહલગામ એમ બંને પરંપરાગત માર્ગોથી એકસાથે શરૂ થશે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ બરફથી કુદરતી રીતે રચાતા પવિત્ર હિમલિંગના દર્શન માટે અમરનાથ ગુફા સુધીની કઠિન યાત્રા કરે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો યાત્રામાં જોડાય તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા વ્યાપક સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now