Surendranagar News: ઝાલવાડના મુખ્ય મથક એવા સુરેન્દ્રનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા હેન્ડલૂમ ચોક વિસ્તારમાં એક વેપારી પર ત્રણ શખ્સોએ મરચાની ભૂકી છાંટી જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ઘટનાની વિગત
મળતી માહિતી મુજબ, વેપારી જ્યારે પોતાની દુકાન પર બેઠા હતા, ત્યારે અચાનક એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ ત્યાં ધસી આવ્યા હતા. હુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પ્રથમ વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી દીધી હતી, જેથી વેપારી કંઈ જોઈ ન શકે. ત્યારબાદ આ શખ્સોએ લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે વેપારી પર આડેધડ હુમલો કરવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: મહેસાણામાં ભાજપનો સેવા સંકલ્પ સમારોહ : જગદીશ વિશ્વકર્માએ કહ્યું, “આ જીત વિકાસ અને જનવિશ્વાસની જીત”
બજારમાં મચી નાસભાગ
ભરચક બજારમાં સરેઆમ થયેલા આ હુમલાને પગલે આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો અને નાસભાગ મચી ગઈ હતી. હુમલાના પગલે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વેપારીને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસની કામગીરી સામે સવાલ
દિવસે-દહાડે અને જાહેર બજારમાં બનેલી આ ઘટનાએ પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો મુખ્ય બજારમાં જ વેપારીઓ સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાનું શું? હાલમાં હુમલો કરીને ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા છે. પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વેપારી પર હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.





