Surat News: સુરત શહેરમાં લાંબા વિરામ બાદ ગાજવીજ અને કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા ભારે વરસાદની વચ્ચે એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. શહેરના ઐતિહાસિક રાંદેર વિસ્તારમાં વરસાદ દરમિયાન વીજ કરંટ લાગવાના કારણે બે આશાસ્પદ યુવકોના કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માતને પગલે સ્થાનિક મુસ્લિમ સમાજ અને બંને મૃતક પરિવારોમાં ભારે શોકની લાગણી ફરી વળી છે.
બચાવવા જતાં બીજો પણ કાળનો કોળિયો બન્યો
મળતી માહિતી મુજબ, રાંદેર વિસ્તારમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. આ જ સમયે વરસાદી માહોલ વચ્ચે કોઈ કામગીરી કરી રહેલા એક મુસ્લિમ યુવકને અચાનક વીજ લાઇનમાંથી જોરદાર કરંટ લાગ્યો હતો. તે લોહીલુહાણ હાલતમાં તરફડી રહ્યો હતો, જેને જોઈને નજીકમાં જ હાજર અન્ય એક યુવક તેને બચાવવા માટે દોડ્યો હતો.
પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. પ્રથમ યુવકને બચાવવાના પ્રયાસમાં બીજા યુવકને પણ વીજ કરંટનો જોરદાર ઝાટકો લાગ્યો હતો. જોતજોતામાં બંને યુવકો ત્યાં જ ઢળી પડ્યા હતા.
હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ શ્વાસ તૂટ્યા
ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ તથા બેભાન અવસ્થામાં બંને યુવકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જો કે, ત્યાંના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ બંનેને "મૃત જાહેર" કર્યા હતા.
તજવીજ ચાલુ
ખાનગી હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા બાદ, કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ (PM) અર્થે બંને યુવકોના મૃતદેહને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પરિવારો પર આભ તૂટી પડ્યું
આ ચોંકાવનારી ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ રાંદેર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. મૃતક યુવકોના પરિવારો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. વ્હાલસોયા દીકરાઓ ગુમાવનારા પરિવારોના આક્રંદથી હોસ્પિટલની લોબી ગુંજી ઉઠી હતી. એક તરફ વરસાદની ખુશી હતી, ત્યાં જ બીજી તરફ આ વીજ કરંટની આફતે બે હસતા-રમતા પરિવારોના ચિરાગ ઓલવી નાખ્યા છે. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા આ મામલે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.





