Home Gujarat Surat Surat Jagannath Rath Yatra 2025 Iskcon

સુરતમાં ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ : રેલવે સ્ટેશનથી નગરચર્યાએ નીકળ્યા પ્રભુ

સુરત રેલવે સ્ટેશનથી ઇસ્કોન મંદિર દ્વારા નીકળેલી ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રા.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 16, 2026, 10:50 AM IST

Surat News: અષાઢી બીજના પાવન અવસરે સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત રેલવે સ્ટેશન ખાતેથી શુભ મુહૂર્તમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને સુશોભિત આધુનિક રથમાં બિરાજમાન કરીને નગરચર્યાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. રથયાત્રાના પ્રારંભ સાથે સમગ્ર વિસ્તાર "જય જગન્નાથ"ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.

હજારો ભાવિકોએ ભગવાનના દર્શનનો લાભ લીધો

રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. યાત્રામાર્ગ પર ઠેરઠેર ભક્તો દ્વારા પુષ્પવર્ષા, આરતી અને સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.


સુરક્ષા વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાઈ રથયાત્રા

રથયાત્રાને લઈને સુરત પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર યાત્રામાર્ગ પર પોલીસ, ટ્રાફિક પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જેથી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.

ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી ભક્તિમય બન્યું વાતાવરણ

રથયાત્રા દરમિયાન ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા હરિનામ સંકીર્તન, ભજન-કીર્તન અને ઢોલ-નગારાના તાલે ભક્તિરસનો માહોલ સર્જાયો હતો. વિદેશી ભક્તો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને બાળકો પણ ભગવાનના નામના સંકીર્તનમાં જોડાયા હતા. સમગ્ર યાત્રામાર્ગ પર "હરે કૃષ્ણ, હરે રામ" અને "જય જગન્નાથ"ના જયઘોષથી શહેરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

આ પણ વાંચો: પાટણમાં ભગવાન જગન્નાથજીની 144મી ભવ્ય રથયાત્રા નીકળી : દર્શન માટે ઉમટ્યો ભક્તિસાગર


સેવાભાવી સંસ્થાઓએ ભાવિકો માટે સેવા કેમ્પ યોજ્યા

રથયાત્રાના માર્ગ પર વિવિધ સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેરઠેર પાણી, શરબત, પ્રસાદ અને તબીબી સહાયના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરમીને ધ્યાનમાં રાખીને ભાવિકોને પીવાના પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આયોજકોના જણાવ્યા મુજબ રથયાત્રા શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થાય તે માટે પોલીસ, મહાનગરપાલિકા અને વિવિધ વિભાગોએ સંકલન સાથે કામગીરી કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now