Surat News: સુરતમાં અવિરત વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે શહેરના ગોડાદરા, પર્વત પાટિયા અને ખાડીપુર વિસ્તારની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ગોડાદરા અને પર્વત પાટિયાને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે ખાડીના પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. અનેક વિસ્તારોમાં આઠથી દસ ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં લોકો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા હતા અને બચાવ દળોને તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવી પડી હતી. વહીવટી તંત્ર અને બચાવ ટીમોના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 300થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગ, પોલીસ, મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા સતત બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અનેક પરિવારોને સલામત સ્થળે પહોંચાડ્યા બાદ તેમના માટે અસ્થાયી આશ્રય અને જરૂરી સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આખો BRTS રૂટ પાણીમાં ગરકાવ, વાહનો ડૂબ્યા
ભારે વરસાદના કારણે ગોડાદરા–પર્વત પાટિયા વિસ્તારનો આખેઆખો BRTS રૂટ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે બસ સેવા સંપૂર્ણપણે પ્રભાવિત થઈ હતી અને અનેક સ્થળોએ જાહેર પરિવહન બંધ કરવાની ફરજ પડી હતી. મુખ્ય માર્ગો પર પાણીનું સ્તર સતત વધતાં સામાન્ય વાહનોની અવરજવર પણ બંધ થઈ ગઈ હતી. આ દરમિયાન એક ટ્રેક્ટર અને બે આઈશર ટેમ્પો પણ પાણીમાં ડૂબી ગયા હતા. ભારે પાણીના પ્રવાહને કારણે વાહનોને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અનેક કાર અને બાઈક પણ પાણીમાં બંધ પડી જતાં લોકોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.
ટેક્સટાઇલ માર્કેટમાં લાખો-કરોડોનો માલ પાણીમાં
ખાડીપુર નજીક આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં પણ ભારે નુકસાન થયું છે. માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતાં કાપડ, તૈયાર માલ, મશીનરી અને અન્ય સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વેપારીઓના જણાવ્યા મુજબ લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના માલને નુકસાન પહોંચ્યું હોવાનો પ્રાથમિક અંદાજ છે. ઘણા વેપારીઓએ જણાવ્યું કે પાણી એટલી ઝડપથી ભરાયું કે માલસામાન સુરક્ષિત સ્થળે ખસેડવાનો સમય પણ મળ્યો નહોતો. હવે પાણી ઓસર્યા બાદ નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવશે અને વીમા કંપનીઓ તેમજ તંત્ર દ્વારા સર્વે હાથ ધરાય તેવી માંગ ઉઠી રહી છે.
રાહત સામગ્રી પહોંચાડવામાં વિલંબથી લોકોમાં રોષ
અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા પીવાનું પાણી, દૂધ, ખાદ્ય સામગ્રી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે કેટલાક વિસ્તારોમાં રહેતા પરિવારોનો આક્ષેપ છે કે લાંબા સમય સુધી તેમની પાસે રાહત સામગ્રી પહોંચી નહોતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ચારથી પાંચ કલાક સુધી પીવાનું પાણી અને નાસ્તા જેવી મૂળભૂત જરૂરિયાતો પણ ઉપલબ્ધ થઈ નહોતી. જેના કારણે પરિવારજનોને પોતાના સ્વજનો સુધી જરૂરી સામગ્રી પહોંચાડવા ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ જણાવ્યું કે પાણી ભરાયેલા રસ્તાઓ વચ્ચે જીવના જોખમે તેઓ રાહત સામગ્રી લઈને પહોંચ્યા હતા.
સ્થાનિક નગરસેવકે આપ્યું સહાયનું આશ્વાસન
સ્થાનિક નગરસેવકે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને લોકોને તાત્કાલિક રાહત સામગ્રી પહોંચાડવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી પાણી સંપૂર્ણપણે ઓસરશે નહીં ત્યાં સુધી મહાનગરપાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા સતત રાહત કામગીરી ચાલુ રાખવામાં આવશે. સાથે જ અસરગ્રસ્ત પરિવારોને પીવાનું પાણી, દૂધ, ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓ સમયસર મળી રહે તે માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.
વેપારીઓ અને સ્થાનિકોમાં તંત્ર સામે રોષ
ખાડીપુર વિસ્તારમાં પાણી ભરાવાથી પ્રભાવિત વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓએ તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે વરસાદ પહેલાં ડ્રેનેજ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોત તો આટલી ગંભીર સ્થિતિ સર્જાઈ ન હોત. વેપારીઓએ નુકસાનનું પારદર્શક સર્વેક્ષણ કરીને સરકાર તરફથી યોગ્ય વળતર અને સહાય આપવાની માંગ કરી છે. સ્થાનિકોએ નીચાણવાળા વિસ્તારોમાં કાયમી પાણી નિકાલની વ્યવસ્થા, ડ્રેનેજ સિસ્ટમના આધુનિકીકરણ અને ખાડીઓની નિયમિત સફાઈ કરવા પણ માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય.
તંત્ર એલર્ટ, વરસાદને લઈ ચિંતા યથાવત
હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોવાથી સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર અને બચાવ એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડે ત્યાં વધુ બચાવ ટીમોને તૈનાત કરવાની તૈયારી કરવામાં આવી છે.






