Surat News: સુરત શહેરમાં મેઘરાજાની તોફાની ઇનિંગ બાદ સર્જાયેલી ખાડીપૂરની સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘરો, દુકાનો, રસ્તાઓ અને જાહેર વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે અનેક પરિવારોને પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળે જવાની ફરજ પડી છે. ભારે વરસાદ બાદ હવે શહેરમાં તારાજીના દૃશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં ક્યાંક કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તો ક્યાંક લોકોના જીવ ગયા છે.
ડિંડોલી વિસ્તારમાંથી વધુ બે મૃતદેહ મળતા શોકની લાગણી
ડિંડોલી વિસ્તારમાંથી વધુ બે મૃતદેહ મળી આવતા સમગ્ર શહેરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ બંને મૃતદેહ ખાડીના પાણીના પ્રચંડ વહેણમાં તણાઈ ગયા હતા અને પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોની નજર મૃતદેહો પર પડતાં તેમણે તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી.
દોરડાની મદદથી પોલીસે અને ફાયર વિભાગે ચલાવ્યું રેસ્ક્યુ
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ભારે પાણીના વહેણ વચ્ચે દોરડાની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પાણીનો પ્રવાહ વધુ હોવાથી બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ બની હતી, તેમ છતાં બચાવ ટીમોએ જોખમ વચ્ચે સફળતાપૂર્વક મૃતદેહોને બહાર કાઢ્યા હતા. હાલ મૃતકોની ઓળખ અને તેઓ કેવી રીતે પાણીમાં તણાયા તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
માસૂમ બાળકોથી લઈને વૃદ્ધો સુધી અનેક લોકોએ ગુમાવ્યા જીવ
સુરતમાં ખાડીપૂરની આ આપત્તિમાં માસૂમ બાળકોથી લઈને મહિલાઓ, વૃદ્ધો અને પુરુષો સુધી અનેક લોકોના મોતના અહેવાલ સામે આવી રહ્યા છે. આજે પણ બે સગા ભાઈઓ અને એક માસૂમ બાળકના મૃત્યુના સમાચાર સામે આવતા દુઃખની લાગણી વધુ ઘેરી બની છે. વિવિધ વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી કેટલાક લોકો ગુમ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાહત અને બચાવ કામગીરી હજુ પણ યથાવત
વહીવટી તંત્ર, પોલીસ, ફાયર વિભાગ, SDRF અને અન્ય બચાવ દળો સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યું હોવા છતાં અનેક સ્થળોએ હજુ પણ ખાડીનું પાણી ભરાયેલું છે. અધિકારીઓ લોકોને જોખમી વિસ્તારોમાં ન જવાની અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છે.
આ પણ વાંચો: પોરબંદર નજીક ઇન્ડિયન નેવીનું UAV ક્રેશ : પેટ્રોલિંગ દરમિયાન સર્જાઈ ઘટના, તપાસ શરૂ
મૃત્યુઆંક વધવાની વ્યક્ત થઈ આશંકા
તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ હોવાથી મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને જ્યાંથી પણ મદદ માટે સંદેશ મળી રહ્યા છે ત્યાં બચાવ ટીમોને મોકલવામાં આવી રહી છે. હાલ સુરત શહેર માટે સૌથી મોટો પડકાર અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનો, જરૂરી રાહત પૂરી પાડવાનો અને શહેરને ફરી સામાન્ય સ્થિતિમાં લાવવાનો છે





