મોહર્રમ પર્વને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ડીંડોલી પોલીસે મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે નવાગામ R.D. ફાટક નજીક પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો અને ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે હથિયારો કબજે કરીને બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે ₹15,300 છે. જોકે કિંમત ઓછી હોવા છતાં ગેરકાયદેસર હથિયારો સાથે આરોપીઓ ઝડપાતા પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. પ્રાથમિક તપાસમાં હથિયારનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો અને તેની પાછળ કોઈ મોટી ગુનાહિત યોજના હતી કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
મુખ્ય આરોપી સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા
ડીંડોલી પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપીનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તેની સામે હત્યા, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ (GUJSITOC) તેમજ NDPS એક્ટ હેઠળના ગુનાઓ સહિત અનેક ગંભીર કેસ નોંધાયેલા છે. જ્યારે અન્ય આરોપી સામે પણ આર્મ્સ એક્ટ સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે. ગેરકાયદેસર હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું હતું, અન્ય કોઈ વ્યક્તિ આ સમગ્ર કાવતરામાં સામેલ છે કે નહીં તેમજ કોઈ ગુનાહિત ઘટનાને અંજામ આપવાની તૈયારી ચાલી રહી હતી કે કેમ તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: જામનગરમાં ગોવાળ મસ્જિદ નજીક અકસ્માત બાદ હંગામો : તાજીયાને ઓટો રિક્ષાની ટક્કર લાગતા ચાલક પર હુમલો અને વાહનમાં તોડફોડ
મોહર્રમ પૂર્વે પોલીસનું સઘન પેટ્રોલિંગ
મોહર્રમ દરમિયાન શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેનાથી સંભવિત ગુનાહિત પ્રવૃત્તિને સમયસર નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આવા ચેકિંગ અભિયાન ચાલુ રહેશે અને ગેરકાયદેસર હથિયારો તથા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.





