સુરત શહેરમાં કામ દરમિયાન એક યુવકના મોતની ઘટનાએ ચકચાર મચાવી છે. મહાવીર હોસ્પિટલ નજીક આવેલા એક બંગલામાં NVR અને CCTV વાયરિંગનું કામ કરતા 26 વર્ષીય યુવકનું અચાનક મોત થયું હતું. મૃતકની ઓળખ બ્રિજેશ કુમાર નિષાદ તરીકે થઈ છે. યુવક કરંટની ઝપેટમાં આવ્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. બ્રિજેશ કુમાર નિષાદ એક બંગલાના રૂમમાં CCTV અને NVR વાયરિંગનું કામ કરી રહ્યો હતો. કામ દરમિયાન અચાનક તે નીચે ફસડાઈ પડ્યો હતો. ઘટના બનતા જ આસપાસ હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર હાલતમાં યુવકને નજીકની મહાવીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પરિવારનો કરંટ લાગ્યાનો આક્ષેપ
મૃતકના પિતાએ ઘટનાને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે. તેમનું કહેવું છે કે બ્રિજેશ ટેબલ પર ચઢીને વાયરિંગનું કામ કરી રહ્યો હતો ત્યારે તેને અચાનક કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ તે સંતુલન ગુમાવી નીચે પટકાયો હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.
પરિવારનો દાવો છે કે ઘટનાસ્થળે પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને સેફ્ટી સાધનો ઉપલબ્ધ નહોતા. કામ દરમિયાન વીજ પુરવઠો બંધ કરાયો હતો કે નહીં તે મુદ્દે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુવકને બચાવવા તાત્કાલિક પ્રયાસો કરાયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી.
પરિવારનો એકમાત્ર આધાર ગુમાવ્યો
મૃતક બ્રિજેશ છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં ઇલેક્ટ્રિક અને વાયરિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવારનો એકમાત્ર કમાઉ દીકરો હોવાના કારણે તેના મોતથી પરિવાર પર આર્થિક અને માનસિક આઘાત તૂટી પડ્યો છે.
પરિવારજનોએ જણાવ્યું કે બ્રિજેશ મહેનત કરીને માતા-પિતાની જવાબદારી ઉઠાવતો હતો. હવે તેના અચાનક અવસાનથી પરિવાર સંપૂર્ણપણે લાચાર બની ગયો છે. મૃતકના પિતાએ જવાબદારો સામે કડક કાર્યવાહી અને પરિવારને વળતર આપવાની માંગ ઉઠાવી છે.
પરિવારનું કહેવું છે કે જો કામ દરમિયાન યોગ્ય સુરક્ષા સાધનો અને તકેદારી રાખવામાં આવી હોત તો કદાચ આ દુર્ઘટના ટાળી શકાય તેમ હતી. ઘટનાએ ફરી એકવાર જોખમી કામ કરતા મજૂરો અને ટેકનિકલ કામદારોની સુરક્ષા અંગે ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો: ગુજરાતના સાવજ પર સૌથી મોટું સંકટ : શું માણસોને પણ છે સંક્રમણનો ખતરો? જાણો કેટલો ઘાતક છે આ વાયરસ
કામદારોની સુરક્ષા મુદ્દે ફરી સવાલો
સુરત સહિત મોટા શહેરોમાં ઈલેક્ટ્રિક, વાયરિંગ અને કન્સ્ટ્રક્શન જેવા જોખમી કામોમાં અનેક લોકો રોજિંદી રોજગારી મેળવે છે. પરંતુ ઘણીવાર પૂરતી સુરક્ષા વ્યવસ્થા, તાલીમ અને સલામતીના નિયમોના અભાવને કારણે ગંભીર અકસ્માતો બનતા રહે છે. આવા કામોમાં સેફ્ટી ગિયર, ઇન્સ્યુલેશન અને વીજ પુરવઠા સંબંધિત નિયમોનું કડક પાલન જરૂરી છે. ખાસ કરીને ખાનગી બાંધકામો અને નાના કોન્ટ્રાક્ટ કામોમાં સલામતીના નિયમો ઘણીવાર અવગણાતા હોવાના આક્ષેપો થતા રહે છે. હાલ સમગ્ર મામલે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ટેક્નિકલ તપાસ બાદ યુવકના મોતનું ચોક્કસ કારણ સામે આવશે તેવી શક્યતા છે.





