Supreme Court On Aadhaar Card: આધાર કાર્ડના ઉપયોગ અને તેની કાનૂની મર્યાદાઓને લઈને સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ મામલો સામે આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર, તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે આધાર કાર્ડનો ઉપયોગ માત્ર ઓળખના પુરાવા તરીકે થવો જોઈએ, પરંતુ હાલમાં તેનો ઉપયોગ નાગરિકતા, રહેઠાણ, જન્મ તારીખ અને ડોમિસાઇલના પુરાવા તરીકે પણ થઈ રહ્યો છે, જે કાયદાની ભાવનાની વિરુદ્ધ છે. આ અરજીમાં ખાસ કરીને મતદાર નોંધણી પ્રક્રિયામાં આધાર કાર્ડના ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અરજદારનું કહેવું છે કે, હાલની વ્યવસ્થામાં પૂરતી ચકાસણી ન થવાને કારણે ગેરકાયદે રીતે કેટલાક લોકો વિવિધ દસ્તાવેજો મેળવી શકે છે, જે ચૂંટણી પ્રક્રિયા માટે પણ પડકારરૂપ બની શકે છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને પાઠવી નોટિસ
ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે આ મામલે કેન્દ્ર સરકાર, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જારી કરી છે. અદાલતે આ અરજીને અગાઉથી પેન્ડિંગ સમાન મુદ્દાઓ સાથે ટેગ કરી છે. આ અરજી વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે, આધાર કાર્ડનો ઉપયોગ માત્ર વ્યક્તિની ઓળખ (Identity Proof) માટે જ કરવામાં આવે અને તેને નાગરિકતા, રહેઠાણ, ડોમિસાઇલ અથવા જન્મતારીખના પુરાવા તરીકે સ્વીકારવામાં ન આવે.
અરજીમાં શું દલીલો કરવામાં આવી?
અરજીમાં આધાર એક્ટ 2016ની કલમ 9નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કલમ અનુસાર આધાર કાર્ડ નાગરિકતા અથવા ડોમિસાઇલનો પુરાવો નથી. ઉપરાંત યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા 22 ઓગસ્ટ 2023ના રોજ જાહેર કરાયેલી સૂચનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સૂચનામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, આધાર કાર્ડ માત્ર ઓળખનો પુરાવો છે, નાગરિકતા, સરનામું કે જન્મ તારીખનો પુરાવો નથી. તેમ છતાં અનેક સરકારી અને ખાનગી પ્રક્રિયાઓમાં આધારનો ઉપયોગ આ તમામ બાબતોના પુરાવા તરીકે થઈ રહ્યો હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભારત માટે મોટી ખુશખબર!: હોર્મુઝ પાર કરીને 34 જહાજો ભારત તરફ રવાના, જાણો શું લઈને આવી રહ્યા છે
મતદાર નોંધણી પ્રક્રિયા પર પણ સવાલ
અરજીમાં ખાસ કરીને નવા મતદાર નોંધણી ફોર્મ-6 અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અરજદારનું કહેવું છે કે, હાલની ચકાસણી વ્યવસ્થા પૂરતી મજબૂત નથી અને તેના કારણે યોગ્ય દસ્તાવેજો વિના પણ કેટલાક લોકો મતદાર યાદીમાં સ્થાન મેળવી શકે છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, ફોર્મ-6માં આધાર કાર્ડને રહેઠાણ અને જન્મતારીખના પુરાવા તરીકે સ્વીકારવાની જોગવાઈ આધાર એક્ટ, જનપ્રતિનિધિત્વ અધિનિયમ (RPA) અને બંધારણની કલમ 14ની ભાવના સાથે સુસંગત નથી.
ગેરકાયદે ઘૂસણખોરો અંગે વ્યક્ત કરાઈ ચિંતા
અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આધાર કાર્ડનો ખોટી રીતે ઉપયોગ કરીને કેટલાક ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અને ઘૂસણખોરો વિવિધ પ્રકારના દસ્તાવેજો મેળવી શકે છે. જેમાં મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશનકાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજોનો સમાવેશ થાય છે. અરજદારના જણાવ્યા અનુસાર, આ સ્થિતિ દેશની ચૂંટણી અને વહીવટી વ્યવસ્થા માટે ગંભીર પડકાર ઉભો કરી શકે છે.
આ પણ વાંચો: રૂ.20,000નું TV બંધ થયું તો કંપનીએ રૂ.57,000 ચૂકવવા પડ્યા!: જાણો કેવી રીતે મળ્યું આ વળતર?
હાઈ પાવર મોનિટરિંગ કમિટીની પણ માંગ
અરજીમાં ચૂંટણી પ્રક્રિયા અને દસ્તાવેજ ચકાસણી વ્યવસ્થામાં સુધારા લાવવા માટે એક ઉચ્ચ સ્તરીય મોનિટરિંગ કમિટીની રચનાની પણ માંગ કરવામાં આવી છે. આ કમિટીમાં નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજ ઉપરાંત સાયબર સુરક્ષા અને ફોરેન્સિક ક્ષેત્રના નિષ્ણાતોને સામેલ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ કમિટી સમગ્ર ચકાસણી પ્રક્રિયા અને સુધારાઓ પર નજર રાખે તેવી માંગ કરવામાં આવી છે.
હવે શું થશે?
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યા બાદ હવે આ મામલે આગામી સુનાવણી દરમિયાન સરકારો અને ચૂંટણી પંચ પોતાનો પક્ષ રજૂ કરશે. આ કેસનો નિર્ણય આધાર કાર્ડના ઉપયોગ અને ચૂંટણી પ્રક્રિયામાં દસ્તાવેજોની ચકાસણી અંગે મહત્વપૂર્ણ અસર પાડી શકે છે. હાલ માટે સર્વોચ્ચ અદાલતે કોઈ અંતિમ ટિપ્પણી કરી નથી, પરંતુ આ મુદ્દે શરૂ થયેલી સુનાવણી દેશભરમાં આધાર કાર્ડના ઉપયોગ અંગે નવી ચર્ચા શરૂ કરી શકે છે.





