આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડાના રાજીનામા મુદ્દે આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે અને સમગ્ર મામલે રાજકીય ચર્ચા તેજ બની છે. AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે રાજુભાઈ કરપડાનું રાજીનામું તેમને વોટ્સએપ મારફતે મળ્યું છે અને હજુ સુધી તેમની સાથે સીધી વાત થઈ નથી.
'રાજુભાઈએ કઈ મજબૂરીમાં આવો નિર્ણય લીધો'
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, રાજુ કરપડાએ હડદડ સહિત ખેડૂતોના અનેક પ્રશ્નોને જોરશોરથી ઉઠાવ્યા હતા. ત્યારબાદ રાજુ કરપડા, પ્રવિણ રામ સહિત આશરે 86 જેટલા લોકો સામે ભાજપ દ્વારા અત્યાચાર કરાયા, ખોટા કેસો નોંધાયા અને ડરાવવાની કોશિશ પણ થઈ હતી. ઈસુદાન ગઢવીએ ઉમેર્યું કે રાજુભાઈએ કઈ મજબૂરીમાં આવો નિર્ણય લીધો તે અંગે હજી સ્પષ્ટતા નથી, કારણ કે તેમની સાથે વાતચીત થઈ નથી. તેઓ બે દિવસ અગાઉ જ તેમના ઘરે એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અગાઉ પણ AAPમાં જોડાયેલા નેતાઓને ભાજપ દ્વારા તોડવાની કોશિશ કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો.
‘ભાજપની પ્રેશર ટેકનિકના કારણે રાજુભાઈએ રાજીનામું આપ્યું...’
AAPના નેતા પ્રવિણ રામે જણાવ્યું કે, રાજુ કરપડાના રાજીનામાના સમાચાર સાંભળીને તેઓ વ્યક્તિગત રીતે ખૂબ દુખી છે. હડદડ આંદોલનમાં તેમણે અને રાજુભાઈએ સાથે મળી ખેડૂતો માટે મજબૂત લડત લડી હતી. તેમના કહેવા મુજબ ખેડૂતોની આ લડાઈ અને ક્રાંતિને તોડવા માટે તેમને 108 દિવસ જેલમાં રાખવામાં આવ્યા હતા અને તેમના પર ભારે દબાણ લાવવામાં આવ્યું હતું. પ્રવિણ રામે શંકા વ્યક્ત કરી કે ભાજપની પ્રેશર ટેકનિકના કારણે રાજુભાઈએ રાજીનામું આપ્યું હોઈ શકે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે હજુ સુધી પાર્ટી સ્તરે તેમની સાથે કોઈ વાતચીત થઈ નથી અને વાતચીત બાદ જ હકીકત બહાર આવશે.




















