PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગઇકાલે કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ પ્રસ્તુત કરેલા નાણાકીય વર્ષ 2026-27 ના બજેટ સંદર્ભે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ ભાજપા કાર્યાલય ‘કમલમ‘, કોખાતે પત્રકાર પરિષદ યોજી હતી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રિફોર્મ,પરફોર્મ અને ટ્રાન્સફોર્મ એ ‘મોદી સરકારની‘ ઓળખ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની રીફોર્મ એક્સપ્રેસને રજૂ કરતું તેમજ ‘વિકસિત ભારત 2047‘ ની બ્લુ પ્રિન્ટ અને આગામી 25 વર્ષના રોડમેપને પ્રતિબિંબિત કરતું રૂ.53.5 લાખ કરોડનું સર્વસ્પર્શી, સર્વ સમાવેશી અને યુવાશક્તિ ડ્રિવન બજેટ આપવા માટે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણને ગુજરાત ભાજપા પરિવાર જગદીશ વિશ્વકર્માએ અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે કહ્યું કે, મોદીજીના નેતૃત્વમાં ભારતની રીફોર્મ એક્સપ્રેસ સતત ગતિ પકડી રહી છે. આ બજેટ ભારતના ‘સ્ટ્રોંગ સ્ટેપ ફોર રાઈટ ડિરેક્શન‘ના અભિગમને દર્શાવે છે.
'નિર્મલા સીતારમણનું 9 મું બજેટ એ કર્તવ્ય ભવનમાં પ્રસ્તુત થયેલ પ્રથમ બજેટ'
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, નિર્મલા સીતારમણનું 9 મું બજેટ એ કર્તવ્ય ભવનમાં પ્રસ્તુત થયેલ પ્રથમ બજેટ છે. આ બજેટ ત્રણ કર્તવ્યો દેશના આર્થિક વિકાસને ઉત્તેજન, નાગરિકોની આશા આકાંક્ષાઓની પૂર્ણતા અને સૌના સાથ, સૌના વિકાસના ભાવ સાથે વિકાસના લાભો સમાજના પ્રત્યેક વર્ગ સુધી પહોંચાડવાના સ્તંભ પર આધારિત છે. આ બજેટ દેશની યુવાશક્તિ, નારીશક્તિ, કિસાન શક્તિ, શ્રમિક શક્તિ તેમજ ઉદ્યમી શક્તિ ને કેન્દ્રમાં રાખતું બજેટ છે. જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રૂ. 53.5 લાખ કરોડના આ બજેટમાંમહિલા સશક્તિકરણ, યુવા શક્તિને પ્રોત્સાહન, આરોગ્ય અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર,લોજીસ્ટિક અને કનેક્ટિવિટી, સંસ્કૃતિ, પર્યટન અને વારસાની જાળવણી, ઉદ્યોગ અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ અગ્રેસરતા, કૃષિ અને ગ્રામ વિકાસ ક્ષેત્ર,પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, સંરક્ષણ, સ્પોર્ટ્સ, MSME અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, AI નો સકારાત્મક ઉપયોગ સહિત દેશની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ જરૂરી તમામ વિષયો પર બળ આપી ભારતના ઉજ્જવળ ભવિષ્યના પાયાને સશક્ત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. દેશ આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં લાંબાગાળાની સમસ્યાઓથી દુર થઇ વિકાસના પંથે મજબૂતાઇથી આગળ વધી રહ્યો છે.
'ગુજરાત એક પ્રકારે MSME ઉદ્યોગોનું હબ છે'
જગદીશ વિશ્વકર્માએ ગુજરાત સંદર્ભે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત એક પ્રકારે MSME ઉદ્યોગોનું હબ છે. બજેટમાં MSME અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે થયેલી જાહેરાતો અને ટેક્સટાઈલ ક્ષેત્રે છ યોજનાઓના લાભથી ગુજરાતના ઉદ્યોગો બુસ્ટ અપ થશે જેનાથી રોજગારની નવી તકો સર્જાશે. 5 લાખથી વધુ વસ્તી ધરાવતા ટીયર 2 અને 3 શહેરોને સિટી ઇકોનોમિક રીઝન બનાવવાની જાહેરાતથી રાજયના આ કેટેગરીમાં આવતા શહેરોનો વિકાસને વેગ મળશે. ગુજરાતમાં સ્થિત લોથલ અને ધોળાવીરા સહિત દેશના 15 પુરાતત્વ સ્થાનોના વિકાસની જોગવાઈ, પૂર્વ ભારતના દાનકુની થી સુરત સુધીનો ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર, જામનગરમાં સ્થિત WHO ના ગ્લોબલ મેડિકલ સેન્ટરના અપગ્રેડેશનનો નિર્ણય સહિતની બાબતો ગુજરાત માટે મહત્વપુર્ણ છે. મ્યુનિસિપલ બોન્ડ માટે જાહેર થયેલા પ્રોત્સાહનો લાભ ગુજરાતની મ્યુનિસિપાલિટીઝને પણ મળશે. ૨૦ વર્ષ સુધી ટેક્સ હોલીડે લંબાવવામાં આવ્યો છે જેના પરિણામે ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓનું રોકાણ વધશે અને મોટી માત્રામાં રોજગારીની તકો સર્જાશે.
'...10 કરોડથી વધુ મહિલાઓ આર્થિક રીતે વધુ સશક્ત બનશે'
જગદીશ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓના સ્વરોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ‘શી માર્ટ્સ’ (Self Help Entrepreneur Mart) શરૂ કરાશે, જેના માધ્યમથી મહિલાઓને પોતાના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળશે. સાથે જ મહિલા સ્વસહાય જૂથોને વધુ નાણાકીય સહાય અને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવશે, જેનાથી દેશભરમાં સ્વસહાય જૂથો સાથે જોડાયેલી 10 કરોડથી વધુ મહિલાઓ આર્થિક રીતે વધુ સશક્ત બનશે. શિક્ષણ અને રોજગાર માટે અન્ય સ્થળે રહેતી મહિલાઓની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવા દરેક જિલ્લામાં મહિલા હોસ્ટલ બનાવવાનો નિર્ણય લેવાયો છે, જે નારી સશક્તિકરણ તરફનું એક મહત્વપૂર્ણ અને દુરંદેશી પગલું છે. ભારતના AVGC (એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ) ક્ષેત્રને પ્રોત્સાહન આપી 2030 સુધીમાં અંદાજે 20 લાખ પ્રોફેશનલની વધતી માંગને ધ્યાનમાં રાખી, 15,000 માધ્યમિક શાળાઓ અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપી યુવાનોને ડિજિટલ અને ક્રિએટિવ ક્ષેત્રે તાલીમ તથા રોજગારની વિશાળ તકો પૂરી પાડવામાં આવશે.
જગદીશ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, AI આધારિત Bharat Vistaar Tool દ્વારા ખેડૂતોને પોતાની ભાષામાં પાક, હવામાન, ખાતર, રોગનિયંત્રણ અને બજારની માહિતી પૂરી પાડવામાં આવશે, સાથે ઊંચી કિંમતવાળા પાકોના વિકાસ, પશુપાલન-ડેરી ક્ષેત્રે 20,000થી વધુ વેટરિનરી ડૉક્ટરોને તાલીમ, ક્રેડિટ આધારિત સહાય અને મત્સ્ય ઉદ્યોગ માટે 500 નવા જળાશયો તથા અમૃત સરોવરોના વિકાસ દ્વારા ખેડૂતો, પશુપાલકો અને માછીમારોની આવક તથા રોજગારી વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે આ તમામ પ્રકલ્પોનો લાભ ગુજરાતના ખેડૂતોને પણ મળશે. કેન્સર સંબંધિત ૧૭ દવાઓ પરથી ઈમ્પોર્ટ ડ્યુટી દૂર કરવાના નિર્ણયથી કેન્સર સહિત ૭થી વધુ ગંભીર બીમારીઓની દવાઓ સસ્તી બનશે, સાથે જ ૫ રીજનલ મેડિકલ હબ અને ૩ આયુષ એઇમ્સના નિર્માણ દ્વારા ભારતને વૈશ્વિક સ્તરે આધુનિક સુવિધાઓ થી સજ્જ મેડિકલ ટુરિઝમ હબ તરીકે વિકસાવવાનો મજબૂત રોડમૅપ તૈયાર થયો છે.




















