Home Gujarat Offbeat Gujarat Stambheshwar Mahadev Kavi Kamboi Amavasya Darshan

ભરૂચના કાવી-કંબોઈમાં સ્તંભેશ્વર મહાદેવનું છે અલૌકિક મંદિર : દિવસમાં બે વખત સમુદ્રમાં સમાય છે મંદિર

સ્તંભેશ્વર મહાદેવની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 16, 2026, 06:07 AM IST

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામે આવેલું વિશ્વવિખ્યાત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ભક્તિભાવથી ગૂંજી ઉઠ્યું છે. શનિવારી અમાસના પાવન અવસરે અહીં વિશાળ સંખ્યામાં ભક્તો ઉમટવાની શક્યતા છે. સમુદ્રના મધ્યમાં આવેલું આ મંદિર તેની અનોખી રચના અને પ્રકૃતિ સાથે જોડાયેલા અદભુત ચમત્કાર માટે જાણીતું છે. જ્યાં શિવલિંગ પર દરરોજ બે વખત સમુદ્ર પોતે જ જળાભિષેક કરે છે. આ તીર્થસ્થળની વિશેષતા એ છે કે દિવસ દરમિયાન લગભગ બાર કલાક સુધી મંદિર સમુદ્રના જળમાં સંપૂર્ણપણે સમાઈ જાય છે જ્યારે બાકી સમય દરમિયાન ભક્તોનાં દર્શન માટે મંદિર ખુલ્લું રહે છે. આ અદ્ભુત દૃશ્ય સદીઓથી યથાવત છે અને ભક્તો માટે આશ્ચર્ય અને આસ્થાનું અનોખું સંયોજન બની રહ્યું છે. શનિવારી અમાસના દિવસે આ દૃશ્યને નિહાળવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.

સમુદ્ર કરે છે જળાભિષેક

પૌરાણિક ગ્રંથોમાં પણ સ્તંભેશ્વર મહાદેવના મહિમાનો વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડ અનુસાર અહીં શિવલિંગ પર સમુદ્ર સ્વયં જળાભિષેક કરે છે જે ભક્તિ અને પ્રકૃતિનો અનોખો સંગમ દર્શાવે છે. આ સ્થાનને હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે અને આજે પણ તેની પરંપરા અવિરત ચાલુ છે.

મહંત વિદ્યાનંદજીના જણાવ્યા મુજબ, અમાસના દિવસે અહીં સ્નાન અને દર્શનનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, આ દિવસે અહીં સ્નાન કરવાથી પ્રયાગમાં સાત વખત, પુષ્કરમાં નવ વખત અને પ્રભાસમાં અગિયાર વખત સ્નાન કર્યાના સમાન પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તેથી અમાસના દિવસે અહીં ભક્તોની વિશેષ ભીડ રહે છે.

આ પણ વાંચો: શનિ જયંતિ પર મોટા ફેરફાર! : કોને મળશે ધનલાભ અને કોને રહેવું પડશે સાવધાન? જાણો તમામ 12 રાશિઓ વિશે સંપૂર્ણ માહિતી

પિતૃદોષ નિવારણ

સ્થાનિક માન્યતાઓ અનુસાર, જેમને પિતૃદોષ અથવા અન્ય કોઈ આધ્યાત્મિક દોષનો પ્રભાવ હોય તેઓ શનિવારી અમાસે અહીં સ્નાન અને પિતૃ તર્પણ કરે તો દોષમાંથી મુક્તિ મળે છે. આ માન્યતાને કારણે અનેક ભક્તો ખાસ આ દિવસે અહીં આવી ધાર્મિક વિધિઓ કરે છે. આ તીર્થસ્થળ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ આધ્યાત્મિક શાંતિ અને વિશ્વાસનું કેન્દ્ર પણ બની ગયું છે.

આવતીકાલે ભક્તો માટે ભગવાન સ્તંભેશ્વરના દર્શનનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ભક્તો મહાદેવના દર્શન સાથે સમુદ્રની જળસમાધિનું અલૌકિક દૃશ્ય પણ નિહાળી શકશે. તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી ભક્તોને સરળતાથી દર્શન મળી શકે.

આ પણ વાંચો: ચંદ્રની પોતાની ઉચ્ચમાં એન્ટ્રી! : આ 3 રાશિવાળા પર વરસશે સોનાના સિક્કા! આવશે કરિયર અને કમાણીમાં જબરદસ્ત તેજી!

આસ્થા, કુદરતી ચમત્કાર અને પ્રવાસનનું કેન્દ્ર

સ્તંભેશ્વર મહાદેવ તીર્થ માત્ર ધાર્મિક મહત્વ માટે જ નહીં પરંતુ કુદરતી ચમત્કાર તરીકે પણ ઓળખાય છે. દરરોજ સમુદ્રના આવક-જાવક સાથે મંદિરનું અદ્રશ્ય થવું અને ફરી પ્રગટ થવું એ દૃશ્ય પ્રવાસીઓ અને ભક્તો બંને માટે અદ્ભુત અનુભવ બની રહે છે. આ કારણસર અહીં દેશ-વિદેશમાંથી પણ લોકો આવતા રહે છે.

શનિવારી અમાસના અવસરે આ તીર્થસ્થળ પર વિશેષ ભીડ રહેવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન દ્વારા પણ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. ભક્તોને સૂચના આપવામાં આવી છે કે તેઓ સમયસર પહોંચે અને સમુદ્રના જ્વારભાટના સમયનું પાલન કરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now