વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ (SSG) ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલો એક મહિલાનો મૃતદેહ ડિકમ્પોઝ (કોહવાઈ) થઈ જવાની આઘાતજનક ઘટનાં સામે આવતા પરિવારજનોએ ભારે રોષ સાથે હોબાળો મચાવ્યો હતો. આ મામલે હોસ્પિટલ સ્ટાફની ઘોર બેદરકારી અને ઉદ્ધત વર્તનના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
વડોદરામાં રહેતા રંજનબહેન વ્યાસ નામના મહિલાનું એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમનો પુત્ર વિદેશમાં હોવાથી તેમના પરત આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરાયું હતું. આથી, મૃતદેહને સુરક્ષિત રાખવા માટે બે દિવસ અગાઉ SSG હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બાપુનગરમાં વેપારી પર સાત શખ્સોનો જીવલેણ હુમલો : CCTV માં કેદ ઘટનાથી કાયદો-વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન
પુત્રના આગમન સમયે ભાંડો ફૂટ્યો
બે દિવસ બાદ જ્યારે રંજનબેનનો પુત્ર વિદેશથી વડોદરા પરત ફર્યો અને અંતિમ દર્શન માટે હોસ્પિટલ પહોંચ્યો, ત્યારે પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. કોલ્ડ રૂમમાં રાખવા છતાં મૃતદેહ કોહવાયેલી અવસ્થામાં જોવા મળ્યો હતો. મૃતદેહમાંથી દુર્ગંધ આવતી હોવાથી પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.
સ્ટાફનું ઉદ્ધતાઈભર્યું વર્તન
પરિવારજનોનો આક્ષેપ છે કે જ્યારે તેમણે આ બેદરકારી બાબતે જવાબ માંગ્યો, ત્યારે હોસ્પિટલનાં સ્ટાફે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે તેમની સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. હોસ્પિટલ પરિસરમાં વાતાવરણ તંગ બની જતાં તાત્કાલિક રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી રોષે ભરાયેલા પરિવારજનોને શાંત પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.
આ ઘટનાએ સરકારી હોસ્પિટલની વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. જો કોલ્ડ રૂમ કાર્યરત હતો, તો મૃતદેહ ડિકમ્પોઝ કેવી રીતે થયો? શું ફ્રીઝરના મેન્ટેનન્સમાં કોઈ ચૂક હતી કે પછી વીજ પુરવઠો ખોરવાયો હતો? ગમગીન પરિવાર સાથે સંવેદનશીલતા રાખવાને બદલે સ્ટાફે ગેરવર્તન કેમ કર્યું? હાલમાં પરિવારજનોએ આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે, ત્યારે હોસ્પિટલ તંત્ર આ મામલે શું તપાસ કરે છે તે જોવું રહ્યું.





