અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. બાપુનગરના મહાવીરનગર વિસ્તારમાં એક વેપારી પર સાત જેટલા શખ્સોએ જાહેરમાં દુકાનમાં ઘુસી જીવલેણ હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જતા ઘટનાની ગંભીરતા વધુ સ્પષ્ટ બની છે.
મળતી માહિતી મુજબ, સૈજપુર વિસ્તારમાં રહેતા મલખાનસિંહ ચૌહાણ મહાવીરનગર રોડ પર સહજાનંદ એવન્યુમાં ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. ઘટનાના દિવસે તેઓ દુકાન બંધ કરીને જવાની તૈયારીમાં હતા, ત્યારે અચાનક સાત જેટલા શખ્સો લોખંડની પાઇપો અને લાકડીઓ લઈને ત્યાં પહોંચી ગયા હતા. હુમલાખોરોએ જૂના ઝઘડાની અદાવત રાખીને સીધા દુકાનમાં ઘુસીને મલખાનસિંહ પર હુમલો શરૂ કર્યો હતો.
દુકાનમાં તોડફોડ અને જાનથી મારવાની ધમકી
હુમલાખોરોમાં વિજય, રાહુલ, શાકા, પ્રમોદ, બરચી સહિતના લોકોનો સમાવેશ થતો હોવાનું જણાવાયું છે. તેઓએ વેપારીને “આજે તને જાનથી મારી નાખીશું” એવી ધમકી આપતા નિર્દયતાથી લાકડીઓ અને પાઇપ વડે માર માર્યો હતો. આ દરમિયાન રાહુલ મરાઠી નામના શખ્સે દંડા વડે દુકાનના કાચના દરવાજા તોડી નાખ્યા હતા, જેના કારણે સ્થળ પર હાહાકાર મચી ગયો હતો.
મારામારી દરમિયાન મલખાનસિંહના મિત્ર સ્થળ પર આવી પહોંચતા હુમલો વધુ ગંભીર બનતો અટક્યો હતો. તેમની હાજરીથી હુમલાખોરો થોડા ગભરાયા હતા અને આસપાસના લોકો ભેગા થવા લાગતા તમામ શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
CCTV માં કેદ ઘટનાના ચોંકાવનાર દૃશ્યો
આ સમગ્ર ઘટનાની CCTV ફૂટેજ સામે આવી છે, જેમાં સ્પષ્ટપણે શખ્સો દુકાનમાં ઘુસીને હુમલો કરતા જોવા મળે છે. જાહેરમાં આ પ્રકારની હિંસક ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે શહેરના કેટલાક વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ધીરે ધીરે બગડી રહી છે.
પોલીસની કાર્યવાહી અને તપાસ
આ મામલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદ પોસ્ટ મારફતે પ્રાપ્ત થઈ હતી અને હાલમાં સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી મલખાનસિંહ અગાઉ શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી એક મારામારીની ઘટનામાં પણ આરોપી તરીકે સંકળાયેલા હતા.
વધતા બનાવો અને સુરક્ષાની ચિંતાઓ
અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વધતા ગુનાહિત બનાવો શહેરની સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. ખાસ કરીને બાપુનગર, સાજીપુર અને આસપાસના વિસ્તારોમાં વારંવાર આવી ઘટનાઓ બનતા સ્થાનિકોમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે.





