Navsari BLO Teacher : નવસારી જિલ્લામાં BLO તરીકે ફરજ બજાવતી શિક્ષિકા શીતલબેન સાથે અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવી હોવાનો એક વધુ ગંભીર આરોપ સામે આવ્યો છે. શીતલબેનના ઘરે દીકરાના લગ્નનો પ્રસંગ હોવા છતાં, તેમને SIR ના ફોર્મ ભરાવવા માટે તાત્કાલિક બોલાવવામાં આવ્યા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. લગ્ન જેવી પરિવારની મહત્વપૂર્ણ જવાબદારી હોવા છતાં રજા ન અપાઈ હોવાનો અને કામમાં સતત દબાણ કરાતું હોવાનો પણ પરિવારનો દાવો છે.
BLO શિક્ષિકા સાથે હેરાનગતિના આક્ષેપો
પરિવારજનોએ જણાવ્યું કે, 'દીકરાના લગ્નની તૈયારી ચાલી હોવા છતાં, કામગીરી પૂર્ણ ન કરવાના આક્ષેપ સાથે શિક્ષિકાને નોટિસ પાઠવવામાં આવી હતી. વધુમાં, દીકરાના લગ્નમાં ‘જાન’ નીકળવાની હતી તે પહેલાં જ તેમને જલાલપોર તાલુકા કચેરી ખાતે ફોર્મ સબમિટ કરવા બોલાવવામાં આવ્યા હતા. ટેકનિકલ સમસ્યાઓને કારણે કામગીરી ધીમી થતી હોવાની અરજી શીતલબેન દ્વારા કરવામાં આવી હતી'
અધિકારીઓએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, 'સતત કામનો દબાણ, ફોન કોલ દ્વારા ટાઈમલાઇન અંગે દબાણ અને માનસિક હેરાનગતિને કારણે શિક્ષિકા ખૂબ માઠા મનોભાવમાં આવી ગઈ હતી અને અંતે તેમની તબિયત બગડી ગઈ. હાલ તેમને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ સંબંધિત અધિકારીઓએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે દીકરાના લગ્ન પ્રસંગે શિક્ષિકાને રજા આપવામાં આવી હતી અને કોઈ હેરાનગતિ કરવામાં આવી નથી. તેઓએ જણાવ્યું કે અંદાજે 600 જેટલા ફોર્મ બાકી હોવાથી, માત્ર કામકાજની સ્થિતિ જાણવા માટે BLO ને ફોન કરવામાં આવ્યો હતો, બાકી કોઈ દબાણ નહોતું. આ ઘટનાએ જિલ્લા શિક્ષકવર્ગ અને BLO વચ્ચે કામકાજની પરિસ્થિતિ અંગે ચર્ચા જગાવી છે, જ્યારે પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે.





















