Shubman Gill to make comeback in Test cricket: ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલની ચર્ચાઓ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ પછી, ડોમેસ્ટિક ક્રિકેટ પ્રત્યેના સમર્પણ માટે થઈ રહી છે. ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝ પૂરી થતાં જ શુભમન ગિલે આરામ કરવાના બદલે રેડ-બોલની ક્રિકેટમાં કમબેક કરવાનો નિર્ણય લીધો છે.
રાજકોટમાં સૌરાષ્ટ્ર સામે ટકરાશે પંજાબ
આગામી ગુરુવારથી રાજકોટમાં પંજાબ અને સૌરાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફીનો મહત્વનો મેચ રમાશે. આ મેચમાં પંજાબની ટીમનું મનોબળ વધારવા માટે શુભમન ગિલ મેદાનમાં ઉતરશે. નોંધનીય છે કે, શુભમન ગિલ T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ નથી, તેથી તેને આ સમયનો ઉપયોગ પંજાબ ટીમને નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો છે.
મુસાફરીનો થાક પણ ન રોકી શક્યો
ટીમના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શુભમન ગિલ માટે આ સફર આસાન ન હતી. ઇન્દોરથી રાજકોટ પહોંચવા માટે તેને 8 કલાક જેટલો સમય લાગ્યો હતો, કારણ કે બંને શહેરો વચ્ચે કોઈ સીધી ફ્લાઇટ ઉપલબ્ધ ન હતી. વનડે સિરીઝમાં ત્રણેય મેચ રમ્યા પછી આટલી લાંબી મુસાફરી કરવા છતાં, શુભમન ગિલે રમતને પ્રાથમિકતા આપી છે.
પંજાબ માટે 'કરો યા મરો' જેવી સ્થિતિ
પંજાબની ટીમ હાલમાં ગ્રુપ B માં મુશ્કેલ સ્થિતિમાં છે: હાલમાં પંજાબની ટીમ 5 મેચમાં 11 પોઈન્ટ સાથે છટ્ઠા ક્રમે છે. આગામી રાઉન્ડમાં ક્વોલિફાય થવા માટે બાકીની ત્રણેય મેચ જીતવી અનિવાર્ય છે. શુભમન ગિલના આવવાથી પંજાબનું બેટિંગ યુનિટ મજબૂત બનશે, જે ટીમને જીત અપાવવામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
ઈજા બાદ રેડ-બોલ ક્રિકેટમાં કમબેક
સાઉથ આફ્રિકા સામેની કોલકાતા ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયા પછી શુભમન ગિલની રેડ-બોલના ફોર્મેટમાં આ પ્રથમ મેચ હશે. ઇન્ટરનેશનલ સ્તરે કેપ્ટન તરીકેની મોટી જવાબદારીઓ હોવા છતાં, શુભમન ગિલ હંમેશા માને છે કે, ડોમેસ્ટિક ક્રિકેટ રમવાથી ફોર્મ અને ફિટનેસ જળવાઈ રહે છે. શુભમન ગિલનું આ પગલું દર્શાવે છે કે, એક સાચો ખેલાડી ક્યારેય પોતાની જમીન (ડોમેસ્ટિક ક્રિકેટ) ભૂલતો નથી. તેનો અનુભવ પંજાબના યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે. વ્યક્તિગત રેકોર્ડ્સ કરતાં ટીમની સફળતાને મહત્વ આપતો શુભમન ગિલ આ રણજી મેચ દ્વારા સાબિત કરવા માંગે છે કે, તે આગામી પડકારો માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રાજકોટના મેદાન પર ચાહકોની નજર ફરી એકવાર શુભમન ગિલની ક્લાસિકલ બેટિંગ પર રહેશે.





















