પંચમહાલ જિલ્લામાં ધોરણ 5ની ગુજરાતી વિષયની સ્વઅધ્યયનપોથીમાં ગંભીર ભૂલ સામે આવતા વિવાદ સર્જાયો છે. સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલી આ સ્વઅધ્યયનપોથીના પ્રથમ પાના પર અશોક ચક્રમાં મોટી ભૂલ જોવા મળતા શિક્ષણ વિભાગની કામગીરી પર સવાલો ઊભા થયા છે.
અશોક ચક્રમાં 27 આરા દર્શાવવામાં આવ્યા
માહિતી મુજબ, ધોરણ 5ની સ્વઅધ્યયનપોથીના પ્રથમ પાના પર છાપવામાં આવેલ અશોક ચક્રમાં 27 આરા દર્શાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય પ્રતિક સાથે સંકળાયેલી આવી ગંભીર ભૂલ સામે આવતાં વાલીઓ, શિક્ષકો અને સમાજમાં નારાજગી જોવા મળી રહી છે.
સ્વઅધ્યયનપોથીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ સમગ્ર બાબતને લઈને ધોરણ 5ની સ્વઅધ્યયનપોથીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ રીતે અશોક ચક્રની ખામી દેખાઈ રહી છે. વીડિયો વાયરલ થતાં જ મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને શિક્ષણ વિભાગની બેદરકારી સામે આક્ષેપો થઈ રહ્યા છે.
છાપકામ પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા!
ઉલ્લેખનીય છે કે, આ સ્વઅધ્યયનપોથી સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત રાજ્ય દ્વારા સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવી છે. બાળકોના શિક્ષણ માટે તૈયાર કરાયેલી પુસ્તિકામાં આવી ભૂલ સામે આવતાં તેની ગુણવત્તા તપાસ અને છાપકામ પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.




















