Bank Holiday: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના કરોડો ગ્રાહકો ખાસ ધ્યાન આપે. આજથી આગામી 6 દિવસ સુધી દેશભરમાં બેંકની તમામ શાખાઓ બંધ રહેશે. 28 મે સુધી બેંકની શાખાઓમાં કોઈ કામગીરી થશે નહીં, તેથી બેંક જવાનું ટાળો. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) આજે 23 મેથી 28 મે સુધી બંધ રહેશે. આ 6 દિવસ દરમિયાન લોકો બેંકની શાખામાં જઈને પૈસાની લેવડ-દેવડ, ચેક ક્લિયરન્સ કે અન્ય કોઈ જરૂરી કામ નહીં કરી શકે, કારણ કે તહેવાર અને હડતાળના કારણે બેંકની શાખાઓ પર તાળું લટકતું જોવા મળશે.
ઇમરજન્સીમાં ATMમાંથી રોકડા પૈસા ઉપાડી શકાશે
તમને જણાવી દઈએ કે 6 દિવસ બેંક બંધ રહેવાની સ્થિતિમાં ગ્રાહકોએ કેશ (રોકડ) માટે પરેશાન થવાની જરૂર નથી, કારણ કે ગ્રાહકો ATMમાંથી કેશ ઉપાડી શકશે. આ સાથે જ UPI ટ્રાન્ઝેક્શનની સેવા પણ ચાલુ રહેશે. ગ્રાહકો બેંકની યોનો (YONO) મોબાઈલ એપ અને બેંક પોર્ટલના માધ્યમથી પણ લેવડ-દેવડ કરી શકે છે. આ ઉપરાંત કસ્ટમર સર્વિસ પોઈન્ટ (CSP) પણ ઉપલબ્ધ રહેશે.
CNG Price: પેટ્રોલ-ડીઝલ પછી CNGના ભાવમાં પણ ભડકો : વહેલી સવારે આટલા રૂપિયા વધી ગયો રેટ
આ કારણોસર 6 દિવસ બંધ રહેશે બેંક
સ્ટેટ બેંકમાં આજે ચોથા શનિવારની રજા રહેશે. આવતીકાલે 24 મે, રવિવારના રોજ સાપ્તાહિક રજા રહેશે. 25 અને 26 મે, સોમવાર અને મંગળવારના રોજ SBI કર્મચારી યુનિયનની દેશવ્યાપી હડતાળ રહેશે. જ્યારે 27 અને 28 મે, બુધવાર અને ગુરૂવારના રોજ બકરીઇદ (ઈદ-ઉલ-અઝહા)ના કારણે ઘણા રાજ્યોમાં સરકારી રજા રહેશે. બકરીઇદ અને 25-26 મેના રોજ બેંક કર્મચારીઓની હડતાળના કારણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખાઓ સળંગ 6 દિવસ બંધ રહેશે.
આગામી દિવસોમાં SBIની શાખાઓ સતત 6 દિવસ માટે બંધ થવા જઈ રહી છે. બેંક 23 મે (શનિવાર) થી લઈને 28 મે (ગુરૂવાર) સુધી સતત બંધ રહેશે. આ છ દિવસની લાંબી રજાઓ બાદ SBIની શાખાઓ શુક્રવાર, 29 મે 2026ના રોજ ફરીથી નિયમિત કામકાજ માટે ખુલશે. બેંક બંધ રહેવાની પૂરી ટાઈમલાઈન આ મુજબ છે. 23 મે મહિનાનો ચોથો શનિવાર (સત્તાવાર રજા), 24 મે રવિવાર (સાપ્તાહિક રજા), 25 અને 26 મે: બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, 27 અને 28 મે: બકરીઇદની રજા.
2 દિવસની હડતાળ પર કેમ રહેશે બેંક કર્મચારીઓ?
વાસ્તવમાં, ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) દ્વારા 2 દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. તેનું મુખ્ય કારણ બેંક કર્મચારીઓની પડતર માંગણીઓ છે. આ માંગણીઓને લઈને જ 25 અને 26 મેના રોજ દેશવ્યાપી હડતાળનું આહવાન કરવામાં આવ્યું છે. બેંક યુનિયનનો આરોપ છે કે બેંક મેનેજમેન્ટ કર્મચારીઓ સાથે જોડાયેલા ઘણા નિર્ણયો તેમની સહમતિ કે સલાહ લીધા વિના જ લાગુ કરી રહ્યું છે, જેના કારણે કર્મચારીઓમાં અસંતોષ છે.
બેંક કર્મચારીઓની 16 મુખ્ય માંગણીઓ
બેંક કર્મચારી યુનિયને બેંક મેનેજમેન્ટ સામે 16 મુખ્ય માંગણીઓ મૂકી છે. જેમાં એક માંગ નવી ભરતી કરવાની છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી સપોર્ટ સ્ટાફ અને મેસેન્જર્સની ભરતી કરવામાં આવી નથી. તાજેતરમાં જ સુરત શાખામાં થયેલી લૂંટનો હવાલો આપીને બેંકોમાં સિક્યોરિટી ગાર્ડ્સની સંખ્યા વધારવાની માંગ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં ફંડ મેનેજર બદલવાની આઝાદી અને પગારની વિસંગતતાઓને દૂર કરવાની માંગ પણ શામેલ છે.





