Vadodara News: મધ્ય ગુજરાતની સૌથી મોટી અને 'ગરીબોની જીવાદોરી' ગણાતી સયાજી હોસ્પિટલ (SSG) ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. હોસ્પિટલ તંત્રની માનવતાહીન અને જવાબદારી વગરની કામગીરીને કારણે એક શોકતુર પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અડધી રાત્રે એમ્બ્યુલન્સ કે ડ્રાઈવર ન મળતા, સ્વજનોએ જાતે જ સ્ટ્રેચર ખેંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) રૂમ સુધી લઈ જવાની નોબત આવી હતી.
કાગળ પર હાજરી, પણ વાસ્તવમાં લાપતા
મળતી માહિતી મુજબ, નાઈટ ડ્યુટી દરમિયાન એમ્બ્યુલન્સના ડ્રાઈવર સત્તાવાર રીતે હાજર હોવાનું ચોપડે નોંધાયેલું હતું. જોકે, જ્યારે એક પરિવારને મૃતદેહ શિફ્ટ કરવા માટે એમ્બ્યુલન્સની તાતી જરૂર પડી, ત્યારે ડ્રાઈવર સ્થળ પર ક્યાંય જોવા મળ્યો ન હતો. હોસ્પિટલના નિયમ મુજબ એમ્બ્યુલન્સની સુવિધા 24 કલાક ઉપલબ્ધ હોવી જોઈએ, પરંતુ ડ્રાઈવરની ગેરહાજરીને કારણે એમ્બ્યુલન્સ શોભાના ગાંઠિયા સમાન બની રહી હતી.
સ્વજનોની કફોડી હાલત અને તંત્ર સામે રોષ
એક તરફ સ્વજન ગુમાવવાનું આઘાતજનક દુઃખ અને બીજી તરફ હોસ્પિટલ તંત્રની આવી નિર્દયતા જોઈ હાજર લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. અંતે કોઈ જ મદદ ન મળતા, પરિવારના સભ્યોએ જાતે જ સ્ટ્રેચર પર મૃતદેહ મૂક્યો અને તેને ખેંચીને PM રૂમ સુધી લઈ ગયા હતા. આ ઘટનાના દ્રશ્યોએ હોસ્પિટલના વહીવટના લીરેલીરા ઉડાડી દીધા છે.
ગંભીર સવાલો અને સત્તાધીશોની ભૂમિકા
સુરક્ષા અને દેખરેખ: જો ડ્રાઈવર ડ્યુટી પર હાજર હતો, તો રાત્રિના સમયે તે ક્યાં ગાયબ હતો? સુપરવાઈઝર કે સિક્યુરિટી દ્વારા તેની તપાસ કેમ ન કરવામાં આવી?
વારંવારની બેદરકારી: SSG હોસ્પિટલમાં આ પ્રકારની લાપરવાહીની ઘટનાઓ અવારનવાર બને છે. દર વખતે તંત્ર 'તપાસ'ની ખાતરી આપીને મામલો દબાવી દેતું હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
અમાનવીય અભિગમ: ગરીબ દર્દીઓ અને તેમના પરિવારો સાથે થતા આવા વ્યવહારને કારણે હોસ્પિટલની છબી ખરડાઈ રહી છે.
હવે જોવાનું એ રહેશે કે, આ અમાનવીય ઘટના બાદ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ જવાબદાર ડ્રાઈવર કે સુપરવાઈઝર સામે કોઈ કડક શિક્ષાત્મક પગલાં લે છે કે પછી દર વખતની જેમ માત્ર તપાસના નામે લીપાપોતી કરવામાં આવશે.





