Ahmedabad News: અમદાવાદના સાબરમતી કાળીગામ રેલવે યાર્ડમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં ઊભેલા એક પેસેન્જર ટ્રેનના કોચમાં અચાનક રહસ્યમય સંજોગોમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આખો કોચ આગની લપેટમાં આવી ગયો હતો અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. સદનસીબે આ ઘટના સમયે કોચ ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
ફાયર બ્રિગેડની 4 ગાડીઓએ મેળવ્યો કાબૂ
યાર્ડમાં ઊભેલી ટ્રેનના ડબ્બામાંથી અચાનક ધુમાડો નીકળતો જોઈ ત્યાં કામ કરી રહેલા રેલવે કર્મચારીઓ અને સ્થાનિક સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો ભારે મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ફાઇટરોની સમયસૂચકતાને કારણે આગ અન્ય કોચ સુધી પ્રસરી શકી નહોતી.
યાર્ડમાં ટ્રેન હોવાથી મોટી ઘાત ટળી
જે કોચમાં આગ લાગી તે પેસેન્જર ટ્રેનનો ડબ્બો હતો, પરંતુ આ ટ્રેન સાબરમતી કાળીગામ યાર્ડમાં હોવાને કારણે તેમાં કોઈ મુસાફરો સવાર નહોતા. જો આ ઘટના ચાલુ ટ્રેને અથવા સ્ટેશન પર બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. જો કે, કોચ ખાલી હોવાના કારણે તંત્ર અને લોકોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે.
આગ લાગવાનું કારણ અકબંધ, રેલવે વિભાગ દ્વારા તપાસ તેજ
આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી કે પછી અન્ય કોઈ કારણ હતું, તેની તપાસ માટે રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રેલવે વિભાગ દ્વારા આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન એ પણ જોવામાં આવશે કે જ્યારે આગ લાગી ત્યારે કોચમાં કોઈ પ્રકારનું મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું કે કેમ, અથવા તો કોઈ અનધિકૃત વ્યક્તિ ત્યાં હાજર હતી કે નહીં.





