વિદેશ મંત્રી એસ જયશંકર 13 જુલાઈથી ત્રણ દિવસની ચીનની મુલાકાતે જશે. શુક્રવારે વિદેશ મંત્રાલયના સૂત્રો દ્વારા આ માહિતી સામે આવી છે. આ મુલાકાત બેઇજિંગથી શરૂ થશે, ત્યારબાદ તેઓ તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે. અત્રે જણાવીએ કે, ચીન SCOનું અધ્યક્ષપદ સંભાળે છે.
જયશંકરની આ મુલાકાત મહત્વપૂર્ણ હશે
જયશંકરની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે જૂન 2020માં LAC પર ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ઘણો તણાવ હતો. જયશંકર અને ચીની નેતૃત્વ આંતરરાષ્ટ્રીય બેઠકો દરમિયાન મળ્યા હતા, પરંતુ આ પહેલી વાર હશે જ્યારે તેઓ તણાવ પછી સીધા ચીનની મુલાકાત લેશે.
ભારત-ચીન સંબંધોમાં નવી શરૂઆતની આશા
તમને જણાવી દઈએ કે એસ. જયશંકરની આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવી શરૂઆતની શક્યતા સેવાઈ રહી છે. કારણ કે જયશંકરની આ મુલાકાતને SCO બેઠક સાથે ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં સ્થિરતા અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
અગાઉ PM મોદી-જિનપિંગની મુલાકાત થઈ હતી
ગયા વર્ષે ઓક્ટોબરમાં, રશિયાના કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે એક મહત્વપૂર્ણ મુલાકાત થઈ હતી. પાંચ વર્ષમાં બંને નેતાઓ વચ્ચે આ પહેલી ઔપચારિક વાતચીત હતી. PM મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારત-ચીન સંબંધો પરસ્પર વિશ્વાસ, આદર અને સંવેદનશીલતા પર આધારિત હોવા જોઈએ.
રાજનાથ સિંહ, ડોભાલે ચીનની મુલાકાત લીધી હતી
પ્રધાનમંત્રીની તે બેઠક પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પણ ચીનની મુલાકાત લીધી હતી અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઇજિંગમાં યોજાયેલી SCO સુરક્ષા સલાહકારોની બેઠકમાં, ડોભાલે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ખતરાનો ગંભીરતાથી મુદ્દો ઉઠાવ્યો હતો.






