કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના કુમતા તાલુકામાં ગાઢ જંગલો અને ખતરનાક ઢોળાવથી ઘેરાયેલી રામતીર્થ ટેકરીઓમાં આવેલી ગુફામાંથી એક રશિયન મહિલા અને તેની બે નાની દીકરીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી છે. મોહી તરીકે ઓળખાતી 40 વર્ષીય મહિલા, તેની પુત્રીઓ પ્રેયા (6) અને અમા (4) સાથે છેલ્લા બે અઠવાડિયાથી તે કુદરતી ગુફામાં એકાંતમાં રહેતી હતી.મોહીએ પોલીસને જણાવ્યું કે તે આધ્યાત્મિક શાંતિની શોધમાં ગુફામાં રહેતી હતી. તેણીએ એક શિવલિંગ પાસે કામચલાઉ નિવાસ બનાવ્યો હતો અને દિવસ-રાત પ્રાર્થના અને ધ્યાન કરતી હતી.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મહિલાની હાજરીની જાણ થઈ જ્યારે તેઓએ ગુફાની બહાર કપડાં સુકવતા અને પૂજા પ્રવૃત્તિઓ ચાલુ જોઈ. જ્યારે પોલીસ શંકાના આધારે ગુફામાં પ્રવેશી, ત્યારે એક નાનું બાળક કપડાં વિના ભાગી ગયું.
ગુફાની આસપાસ ઝેરી સાપ
ગુફાની અંદરનું દ્રશ્ય ખૂબ જ ચિંતાજનક હતું. એક ઘેરી અંધારી ગુફામાં, મોહી તેની મોટી દીકરીને દીવાના પ્રકાશમાં ચિત્ર દોરવાનું શીખવી રહી હતી. આસપાસ મોટા ઝેરી સાપ પણ હાજર હતા. અધિકારીઓએ તરત જ ત્રણેયને સુરક્ષિત રીતે બચાવી લીધા. જુલાઈ 2024 માં, આ ટેકરી પર એક વિશાળ ભૂસ્ખલન થયું હતું અને આ વિસ્તાર અત્યંત ખતરનાક માનવામાં આવે છે.
પૂછપરછ દરમિયાન, મહિલાએ સ્વીકાર્યું કે તે આ ગુફામાં પહેલા પણ ઘણી વખત રહી ચૂકી છે. જોકે, પર્વતીય વિસ્તારમાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે અને ચારે બાજુ વાડ પણ બનાવવામાં આવી છે. તેમ છતાં તે બીજા પહાડી માર્ગેથી ગુફામાં પ્રવેશી હતી. મોહીએ જણાવ્યું કે તે 2016 માં એક ખાનગી કંપનીમાં કામ કરવા માટે રશિયાથી ગોવા આવી હતી, પરંતુ 2017 માં નોકરી ગુમાવ્યા પછી, તે નેપાળ ગઈ. થોડા સમય પછી, તે ફરીથી ગોવા પાછી ફરી અને આધ્યાત્મિક જીવન તરફ આકર્ષાઈને, ગોકર્ણના આ ગુફા વિસ્તારમાં સાધના કરવાનું શરૂ કર્યું.
2017માં વિઝાની મુદત પૂરી થઈ ગઈ હતી
બચાવ પછી, મહિલાની વિનંતી પર, તેણી અને તેની પુત્રીઓને કુમતા તાલુકાના બાંકીકોડલા ગામના એક આશ્રમમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હવે 80 વર્ષીય સાધ્વી સ્વામી યોગરત્ન સરસ્વતીની સંભાળ હેઠળ છે. મહિલાના દસ્તાવેજોની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે બિઝનેસ વિઝા પર ભારત આવી હતી, જેની માન્યતા 2017 માં સમાપ્ત થઈ ગઈ હતી. પૂછપરછ દરમિયાન, તેણીએ જણાવ્યું કે તેનો વિઝા અને પાસપોર્ટ જંગલમાં ક્યાંક ખોવાઈ ગયો હતો. બાદમાં, ગોકર્ણ પોલીસ અને વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત સર્ચ ઓપરેશનમાં દસ્તાવેજો મળી આવ્યા હતા.
હવે પોલીસ તપાસ કરી રહી છે કે તે આટલા વર્ષોથી દેશમાં ગેરકાયદેસર રીતે કેવી રીતે રહેતી હતી અને તે તેના બાળકો સાથે જંગલમાં કેવી રીતે ગુજરાન ચલાવી રહી હતી. ઉત્તર કન્નડ પોલીસ અધિક્ષક નારાયણના નિર્દેશનમાં મહિલા અને બાળકોને બેંગલુરુ મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.






