રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 અને 5 ડિસેમ્બરે ભારતની મુલાકાત આવી શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનએ શુક્રવારે આ જાહેરાત કરી હતી, જેમાં જણાવાયું હતું કે, પુતિન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની રાજ્ય મુલાકાત લેશે. બંને નેતાઓ વેપાર કરારો પર હસ્તાક્ષર કરશે. ક્રેમલિનના એક નિવેદન મુજબ, તેઓ રશિયા-ભારત સંબંધોના તમામ પાસાઓ તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે.
ભવ્ય અને અર્થપૂર્ણ મુલાકાત હશે!
આ પ્રવાસ એવા સમયે થઈ રહી છે જ્યારે ફેબ્રુઆરી 2022માં મોસ્કો દ્વારા યુક્રેન પર આક્રમણ બાદ રશિયા દ્વારા ડિસ્કાઉન્ટ ભાવે તેલ ખરીદવાને કારણે ભારત અને પશ્ચિમી દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ છે. ઓગસ્ટમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આયાત કરાયેલા મોટાભાગના માલ પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભારત રશિયાના યુદ્ધ પ્રયાસોને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. રશિયન રાજ્ય ટીવીએ ક્રેમલિનના વિદેશ નીતિ સલાહકાર યુરી ઉષાકોવને ટાંકીને કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આગામી ભારત મુલાકાત "ભવ્ય અને અર્થપૂર્ણ" હશે.
પુતિનની મુલાકાત અંગે મોસ્કોએ શું કહ્યું
યુરી ઉષાકોવે કહ્યું કે, "અમે અને ભારતીય પક્ષ આ મુલાકાત માટે સક્રિયપણે તૈયારી કરી રહ્યા છીએ. અમને આશા છે કે તે દરેક રીતે ફળદાયી રહેશે. આ એક ખૂબ જ ભવ્ય મુલાકાત હશે, કારણ કે તેને રાજ્ય મુલાકાત પણ કહેવામાં આવી રહી છે. આ મુલાકાત ભારતીય વડા પ્રધાન અને રશિયન રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય બાબતો અને વર્તમાન આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે વાર્ષિક ધોરણે મળવાના કરારને અમલમાં મૂકવાની તક પૂરી પાડે છે." ગયા સોમવારે, વિદેશ પ્રધાન એસ. જયશંકરનું સ્વાગત કરતી વખતે, રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે કહ્યું હતું કે પુતિનની નવી દિલ્હી મુલાકાત ત્રણ અઠવાડિયામાં થશે.





















