પંચાલ સમાજ દ્વારા લેવામાં આવેલા સામાજિક નિર્ણયને હવે પાટીદાર સમાજનું ખુલ્લું સમર્થન મળ્યું છે. વિશ્વઉમિયા ધામના પ્રમુખ આર પી પટેલે પંચાલ સમાજના નિર્ણયને આવકારદાયક ગણાવી તેનું સમર્થન જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, 'દ્વિતીય સંતાન થાય તો પરિવારનું સન્માન કરવું જોઈએ, કારણ કે સંતાનો પરિવાર અને સમાજની શક્તિ હોય છે'.
'સિંગલ ચાઈલ્ડ અને નો ચાઈલ્ડનો વધતો ક્રેઝ'
આર પી પટેલે પોતાના નિવેદનમાં કહ્યું કે, 'સિંગલ ચાઈલ્ડ અને નો ચાઈલ્ડનો વધતો ક્રેઝ સમાજ માટે ખતરનાક છે. સિંગલ ચાઈલ્ડના કારણે ભવિષ્યમાં અનેક સામાજિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે'. તેમણે કહ્યું કે 'પંચાલ સમાજનો નિર્ણય સમયોચિત અને સમાજહિતમાં લેવાયેલો છે, જે અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે'.
'લગ્ન મોડા કરવાનો વધતો ટ્રેન્ડ પણ સમાજ માટે જોખમી છે'
તેમણે વધુમાં જણાવ્યું કે 'આધુનિકતાના નામે હિન્દુ સમાજમાં કેટલાક ખોટા ટ્રેન્ડ ઘૂસી ગયા છે, જેના કારણે પારિવારિક સંખ્યા સતત ઘટી રહી છે. પરિવારની સંખ્યા ઘટવાથી સમાજની સામૂહિક શક્તિ તૂટે છે અને તેનો સીધો અસર ભવિષ્યની પેઢી પર પડે છે'. આર પી પટેલે ઉદાહરણ આપતાં જણાવ્યું કે, 'જાપાન અને યુરોપના અનેક દેશો આજે જન્મદર વધારવા માટે વિશેષ પ્રયત્નો કરી રહ્યા છે, કારણ કે ત્યાં વસ્તી ઘટવાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે'. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે 'લગ્ન મોડા કરવાનો વધતો ટ્રેન્ડ પણ સમાજ માટે જોખમી છે અને સમયસર લગ્ન તથા સંતાન સમાજની સ્થિરતા માટે જરૂરી છે'.





















