મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લાના 11 જેટલા ગામોના 18 હજારથી વધુ લોકોને જિલ્લા મુખ્ય મથક અને તાલુકા મથક સાથેની અવર-જવરની સરળ કનેક્ટિવીટી માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે
મુખ્યમંત્રીએ આ હેતુસર નર્મદા જિલ્લામાં ૨ નવા પૂલોના નિર્માણ માટે 302.40 કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી છે.
નર્મદા જિલ્લામાં રોડ કનેક્ટિવીટી વધુ સુદ્રઢ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય
તદનુસાર, નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પૂલ માટે 123.13 કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પૂલ માટે 179.27 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આદિજાતિ ક્ષેત્ર નર્મદા જિલ્લામાં આ બે પૂલના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારના તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ સહિતના ગામોમાં વસતા ગ્રામ જનોને પણ અવર-જવર માટે સુગમતા રહેશે તથા આ વિસ્તારમાંથી શાળા-કોલેજોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ચોમાસાના સમય દરમિયાન પણ આવવા-જવામાં સુવિધાયુક્ત રસ્તાની સવલત મળશે.
2 નવા બ્રિજ માટે 302.40 કરોડ રૂપિયા મંજૂર
એટલું જ નહિ, નાંદોદ અને તિલકવાડા તાલુકામાં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન યોજાતી ઉત્તરવાહિની પરીક્રમામાં આવતા લાખો પરીક્રમા વાસીઓને ભવિષ્યમાં આ બંન્ને પૂલોનો લાભ મળવાથી કુલ 17 કિલોમીટરનો ફેરાવો ઘટશે અને સમય તથા ઈંધણની પણ બચત થશે.




















