ભાવનગરના બગદાણા વિવાદ મામલે નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં જયરાજ આહીરની ધરપકડ થતાં સમગ્ર મામલે નવી ચર્ચા શરૂ થઈ છે. SIT દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ કોળી સમાજના વિવિધ સામાજિક આગેવાનો અને સંતોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
'કોઈપણ ચમરબંધી હોય, તેને સજા મળવી જ જોઈએ'
આ મામલે ઋષિ ભારતી બાપુએ પ્રતિક્રિયા આપતાં SITની ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “SITની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ, નવનીતભાઈને ન્યાય અપાવવા બદલ. SITએ સાબિત કરી દીધું છે કે જો પુરાવા મળે, તો ગમે તેવો ચમરબંધી કેમ ન હોય, તેની સામે કાર્યવાહી થાય જ છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, “કોઈપણ ચમરબંધી હોય, તેને સજા મળવી જ જોઈએ, એ જ સાચો ન્યાય છે.”
SITની તપાસને લઈ વિશ્વાસ વધ્યો!
આ ઘટનાને લઈને કોળી સમાજના આગેવાન અને એડવોકેટ કિશન મેરએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે પોલીસ અને SITની કામગીરી સરાહનીતાં કહ્યું કે, પોલીસ અને SITની ટીમે ખૂબ સારું કામ કર્યું છે, જેના માટે તેઓ ટીમનો આભાર વ્યક્ત કરે છે. તેમણે ઉમેર્યું કે, આવા કેસોમાં નિષ્પક્ષ તપાસ અને કાયદાની કાર્યવાહીથી જ સમાજમાં ન્યાયની ભાવના મજબૂત બને છે. જયરાજ આહીરની ધરપકડ બાદ બગદાણા વિવાદ મામલે SITની તપાસને લઈ વિશ્વાસ વધ્યો છે અને લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ કેસમાં આગળ પણ નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરવામાં આવશે'.





















