Surat Congress resignation: સુરત શહેર કોંગ્રેસમાં એક મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. તાજેતરમાં જાહેર કરાયેલા સુરત શહેર કોંગ્રેસના નવા સંગઠન માળખા બાદ ભારે વિવાદ ઉભો થયો છે. સંગઠન રચાયા બાદ માત્ર 24 કલાકની અંદર જ ટપોટપ રાજીનામાઓનો દોર શરૂ થયો છે, જેના કારણે કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે.
નવી નિમણૂંક બાદ 24 કલાકમાં ટપોટપ રાજીનામાં
નવા સંગઠન માળખામાં કુલ 161 હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જોકે યાદી જાહેર થતાં જ વિવાદનો વંટોળ સર્જાયો હતો. હોદ્દાઓમાં ડિગ્રેડ કરાયા હોવાના આક્ષેપો તેમજ વિશ્વાસમાં લીધા વિના નિમણૂકો કરાઈ હોવાના કારણે ઘણા નેતાઓમાં ભારે નારાજગી ફેલાઈ હતી. યાદી બનાવવામાં પણ ગરબડી થઈ હોવાની ફરિયાદો સામે આવી છે.
9 કોંગ્રેસીઓએ આપ્યા રાજીનામાં
આ નારાજગીના પગલે કુલ 9 કોંગ્રેસીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા છે. જેમાં બે ઉપપ્રમુખ, બે મહામંત્રી, બે મંત્રી અને બે કારોબારી સભ્યોનો સમાવેશ થાય છે. સંગઠનના મહત્વના હોદ્દેદારોના રાજીનામાથી શહેર કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે વિપુલ ઉધનાવાલાની નિમણૂક થયા બાદ પણ નારાજગી યથાવત રહી છે. પાર્ટીની અંદર મતભેદ અને મન દુ:ખને લઈને સમયાંતરે આંતરિક ગુફતગૂ થતી રહી હતી, જે હવે ખુલ્લા વિવાદમાં ફેરવાઈ છે.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વિવાદિત નિલેશ કુંભાણીનું નામ પણ ફરી ચર્ચામાં આવ્યું છે, જેના કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો છે. હાલ સુરત શહેર કોંગ્રેસમાં સર્જાયેલા આ વિવાદને લઈને આગામી દિવસોમાં પાર્ટી કઈ દિશામાં આગળ વધે છે તેની ઉપર સૌની નજર ટકી છે.






