દેશમાં તહેવારોની મોસમ શરૂ થવા તરફ આગળ વધી રહી છે અને આ સમયે ગ્રાહકો માટે ખુશખબરી આવી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી ફરી એકવાર વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના અહેવાલ અનુસાર, 4થી 6 ઓગસ્ટ વચ્ચે યોજાનારી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં 25 બેસિસ પોઈન્ટ (bps)નો ઘટાડો થઈ શકે છે.
તહેવારો પહેલા લોન લેવા માટે સારો સમય બની શકે
SBIના રિપોર્ટ મુજબ, રેપો રેટમાં સંભવિત ઘટાડો તહેવારોની મોસમમાં ક્રેડિટ ગ્રોથ (લોનમાં વૃદ્ધિ)માં વેગ લાવી શકે છે. વર્ષ 2026 માટેના નાણાકીય વર્ષમાં દિવાળી સહિતના મોટા તહેવારો પહેલા ગ્રાહકોના ખર્ચમાં વધારો થવાની અપેક્ષા છે.
ભૂતકાળના આંકડાઓથી પણ આ સમર્થન મળે છે. ઉદાહરણ તરીકે, ઓગસ્ટ 2017માં, જ્યારે રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડવામાં આવ્યો હતો, ત્યારે દિવાળીની મોસમ દરમિયાન કુલ ₹1,956 અબજનું ક્રેડિટ ગ્રોથ નોંધાયું હતું. તેમાંના લગભગ 30% પર્સનલ લોન સેગમેન્ટમાંથી આવ્યું હતું.
ત્રણ વખત રેપો રેટમાં ઘટાડો થઈ ચૂક્યો છે
વર્ષ 2025 દરમિયાન અત્યાર સુધીમાં RBI દ્વારા ત્રણ વખત રેપો રેટ ઘટાડવામાં આવ્યો છે:
ફેબ્રુઆરી અને એપ્રિલમાં – 25-25 bpsનો ઘટાડો
જૂનમાં – 50 bpsનો ઘટાડો
જે પછી હાલના રેપો રેટમાં ઘટાડો થઈને તે 5.50%એ પહોંચી ગયો છે.
ગ્રાહકોને સીધી રાહત
રેપો રેટમાં ઘટાડાનો સીધો લાભ હોમ લોન અને કાર લોન જેવા રિટેલ લોન પર જોવા મળે છે, કારણ કે એ રેપો રેટ સાથે જોડાયેલી હોય છે. વ્યાજ દર ઘટવાથી લોકો માટે ધિરાણ લેવું સરળ બને છે, જેનાથી ઘર ખરીદી, વાહન ખરીદી અને અન્ય ખર્ચ વધે છે. આ એકંદરે અર્થતંત્ર માટે લાભદાયી બની શકે છે.




















