Home National Ram Mandir Trust Ceo Appointment After Donation Controversy

રામ મંદિરના દાન વિવાદ બાદ સરકાર એક્શનમાં : ટ્રસ્ટમાં CEOની નિમણૂકની તૈયારી

Ram Mandir Trust, CEO Appointment
Image Credit: pinterest
Published by: Nirali Gohil
Last Updated: Jun 18, 2026, 03:56 AM IST

અયોધ્યા: અયોધ્યાના ભવ્ય રામ મંદિરને મળતા દાન અને ચઢાવાના સંચાલનને વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનાવવા માટે કેન્દ્ર સરકાર મહત્વપૂર્ણ પગલું ભરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં મંદિરના દાન સાથે જોડાયેલા કથિત ચોરીના પ્રકરણ બાદ દેશભરમાં ચર્ચા અને પ્રશ્નો ઊભા થયા હતા. આ સમગ્ર ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને હવે શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં મુખ્ય કાર્યપાલક અધિકારી (CEO)ની નિમણૂક કરવાની પ્રક્રિયા પર ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર એવા નિવૃત્ત અને નિષ્કલંક છબી ધરાવતા વરિષ્ઠ વહીવટી અધિકારીને ટ્રસ્ટમાં જવાબદારી સોંપવા માંગે છે, જે મંદિરના નાણાકીય અને વહીવટી વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવી શકે. આ પગલાથી માત્ર દાનની આવક અને ખર્ચની પારદર્શિતા જ નહીં, પરંતુ ભક્તોમાં વિશ્વાસ પણ વધુ મજબૂત બનશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નાણાકીય પારદર્શિતા વધારવા પર ભાર

રામ મંદિર આજે દેશના સૌથી વધુ દાન પ્રાપ્ત કરતા ધાર્મિક સ્થળોમાંનું એક બની રહ્યું છે. દરરોજ હજારો ભક્તો અહીં દર્શન માટે પહોંચે છે અને મોટી માત્રામાં દાન અર્પણ કરે છે. આવી સ્થિતિમાં દાનના સંચાલન અને હિસાબી પ્રક્રિયાઓ સંપૂર્ણપણે પારદર્શક રહે તે અત્યંત જરૂરી બની જાય છે. સરકારી વર્તુળોમાં માનવામાં આવે છે કે દેશના અન્ય મોટા અને પ્રસિદ્ધ મંદિરોની જેમ રામ મંદિરના ટ્રસ્ટમાં પણ એક અનુભવી વહીવટી અધિકારીની હાજરી હોવી જોઈએ. CEOની નિમણૂકથી દાનની આવક, ખર્ચ, ઓડિટ અને અન્ય વહીવટી કાર્યો વધુ વ્યવસ્થિત રીતે સંચાલિત થઈ શકશે. ખાસ કરીને તાજેતરના વિવાદ બાદ આ પ્રકારની વ્યવસ્થા સમયની માંગ બની હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: રામ મંદિર દાન કૌભાંડમાં મોટો ધડાકો!: કર્મચારીના ઘરે મળ્યું કરોડોનું સોનું, ખૂલી 50 કરોડની બેનામી સંપત્તિની પોલ

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ટ્રસ્ટની રચના

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો માર્ગ 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ સંપૂર્ણપણે ખુલ્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારે 5 ફેબ્રુઆરી 2020ના રોજ શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચનાની જાહેરાત કરી હતી. આ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરી હતી. ટ્રસ્ટના પ્રથમ અધ્યક્ષ તરીકે શ્રીરામજન્મભૂમિ ન્યાસના વડા મહંત નૃત્યગોપાલદાસની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના કેન્દ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાયને મહાસચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલી પ્રથમ બેઠકમાં અનેક અગ્રણી સંતો, ધાર્મિક આગેવાનો અને સ્થાનિક પ્રતિનિધિઓને ટ્રસ્ટ સાથે જોડવામાં આવ્યા હતા.

15 સભ્યોના ટ્રસ્ટમાં હાલ એક પદ ખાલી

શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની કુલ સભ્ય સંખ્યા 15 છે. તેમાં 12 સભ્યોને મનોનીત કરવામાં આવ્યા છે, જ્યારે 3 સભ્યો હોદ્દાની રૂએ સામેલ કરવામાં આવ્યા છે. હોદ્દાની રૂએ સામેલ સભ્યોમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ, ઉત્તર પ્રદેશ સરકારના પ્રતિનિધિ અને અયોધ્યાના જિલ્લા મેજિસ્ટ્રેટનો સમાવેશ થાય છે. ટ્રસ્ટની રચનાથી જોડાયેલા રહેલા વિશ્વ હિંદુ પરિષદના વરિષ્ઠ નેતા કામેશ્વર ચૌપાલના 7 ફેબ્રુઆરી 2025ના રોજ નિધન બાદ તેમની જગ્યાએ પૂર્વ ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી કૃષ્ણ મોહનની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જોકે, અયોધ્યાના રાજપરિવારના વડા અને ટ્રસ્ટી વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રના 24 ઓગસ્ટ 2025ના રોજ થયેલા નિધન બાદ તેમનું સ્થાન હજુ સુધી ખાલી છે. હાલમાં ટ્રસ્ટમાં કુલ 14 સભ્યો કાર્યરત છે અને એક પદ લગભગ એક વર્ષથી ખાલી પડ્યું છે. આ સંજોગોમાં સરકાર CEO તરીકે કોઈ વહીવટી અધિકારીને આ ખાલી સ્થાન પર સામેલ કરશે કે, પછી તેના માટે અલગ નવું પદ સર્જવામાં આવશે, તે અંગે ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો: રામ મંદિરના દાનમાં ગડબડના આરોપો બાદ SIT તપાસ શરૂ: જાણો શું છે આખો મામલો?

CEO માટે અલગ પદ સર્જાઈ શકે

સૂત્રોનું કહેવું છે કે CEOની નિમણૂક માટે કાનૂની અને વહીવટી પાસાઓનું મૂલ્યાંકન શરૂ થઈ ગયું છે. જો સરકાર વર્તમાન ખાલી સભ્યપદ પર જ કોઈ અધિકારીની નિમણૂક કરે તો ટ્રસ્ટની કુલ સભ્ય સંખ્યા યથાવત રહેશે. પરંતુ જો CEO માટે અલગ પદ બનાવવામાં આવશે તો ટ્રસ્ટના સભ્યોની સંખ્યા 15થી વધીને 16 થઈ શકે છે. આ નિર્ણય માત્ર વહીવટી ફેરફાર પૂરતો નહીં પરંતુ રામ મંદિરના ભવિષ્યના સંચાલન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર બનેલા રામ મંદિરમાં નાણાકીય શિસ્ત, જવાબદારી અને પારદર્શિતા જાળવવા માટે સરકાર હવે વધુ સક્રિય ભૂમિકા ભજવવા તરફ આગળ વધી રહી હોવાનું માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now