Ram Mandir Anniversary 2025: આજે અયોધ્યામાં રામ મંદિરના પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થયું. રામલલાને 22 જાન્યુઆરી 2024 ના રોજ મંદિરમાં રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. જો કે, ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન છે કે, જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થઈ હતી, તો પછી શા માટે વર્ષગાંઠ 10 દિવસ વહેલી ઉજવવામાં આવી રહી છે? તો ચાલો જાણીએ કે આ પાછળનું કારણ શું છે?
બારસના દિવસે કરાઈ હતી પ્રાણ પ્રતિષ્ઠા
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા જયંતિ હિન્દુ કેલેન્ડર મુજબ ઉજવવામાં આવી રહી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ પોષ મહિનાની શુક્લ પક્ષની બારસના દિવસે રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો. આ વર્ષે આ બારસ એટલે કે આજે 11 જાન્યુઆરીએ છે.
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ
રામ મંદિર જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર પોષ મહિનાના શુક્લ પક્ષની બારસ 11 જાન્યુઆરી 2025ના રોજ છે, જેના કારણે રામ મંદિરની વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. રામલલાના જન્મદિવસ પર સમગ્ર અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. આ સમય દરમિયાન અયોધ્યામાં ઘણા કાર્યક્રમો યોજાશે. આ વર્ષગાંઠની ઉજવણી 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી ચાલશે.
કેમ ખાસ છે આ બારસ?
ઉલ્લેખનીય છે કે, ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન પહેલાં કાચબાનું રૂપ ધારણ કર્યું હતું. આ જ કારણ છે કે પોષ મહિનાની શુક્લ પક્ષની બારસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. જો આપણે પૌરાણિક માન્યતામાં માનીએ તો રાજા દશરથે આ દિવસે પુત્ર પ્રાપ્તિ માટે હવન કર્યો હતો જેના પછી ભગવાન રામનો જન્મ થયો હતો.
પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરની વર્ષગાંઠ પર અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો શેર કરતા લખ્યું કે, સદીઓના બલિદાન, તપસ્યા અને સંઘર્ષ પછી બનેલું આ રામ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે. અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને શુભકામનાઓ.
અયોધ્યા પ્રવાસે સીએમ યોગી
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યાની મુલાકાતે છે. સીએમ યોગી રામ મંદિરના વર્ષગાંઠ સમારોહની શરૂઆત મહાઆરતીથી કરશે. આ દરમિયાન રાજ્યના બન્ને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક પણ હાજર રહે તેવી શક્યતા છે.





